Feb 22, 2012

‘વંદે માતરમ્’ - બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય


રાષ્ટ્રવંદના
કેટલાક શબ્દો પોતાની સાથે સમગ્ર ભાવવિશ્ર્વ લઈને પ્રગટ થતા હોય છે. ‘રામ રામ’; ‘જય શ્રીકૃષ્ણ’, ‘જય સ્વામીનારાયણ’ .....જેવા શબ્દો માત્ર ઠાલા શબ્દો નથી. તે ભાવનાપ્રચુર શબ્દો છે જે આપણા સમગ્ર વ્યક્તિત્વમાં ચૈતન્યનાં આંદોલનો પ્રસરાવી દેતા હોય છે.
ભારતમાં પ્રજાની રાષ્ટ્રભાવના સૌથી વધુ ઉત્કટ કરનારા શબ્દો છે - વંદે માતરમ્. ઉચ્ચ કોટિના રાષ્ટ્રભક્તથી માંડીને સામાન્ય માનવી સુધીના તમામ લોકો આ બે શબ્દોથી   જુદી જુદી માત્રામાં ઉત્તેજિત થયા વિના રહેતા નથી. મંદિરના ઘંટારવ સમાન આ બે શબ્દો પ્રત્યેકમાં રાષ્ટ્ર માટે ભક્તિભાવ જગાવે છે, એટલું જ નહીં રાષ્ટ્ર પ્રત્યેની કર્તૃત્વભાવનાની અંત:સ્ફુરણા આપે છે. આ બે શબ્દો પર શહીદો રાષ્ટ્ર માટે પ્રાણની આહુતિ આપવા તૈયાર થાય છે, દેશભક્તો મુસીબતો ઝીલવા તૈયાર થાય છે, સામાન્ય માણસો ત્યાગ કરવા તૈયાર થાય છે. ભારતના લોકોને એકાત્મતાના એક તાંતણે બાંધનાર આ બે શબ્દો છે - વંદે માતરમ્.
સંસ્કૃત અને બંગાળીમાં લખાયેલા આ અમર ગીતના કવિ છે, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. 1876ની આસપાસ સ્ફુરેલા આ ગીતના શબ્દોએ આકાર લીધો 1882માં. તેમણે લખેલી નવલકથા આનંદમઠ (બંગાળીમાં આનંદોમઠ)માં આ ગીત પ્રગટ થયું હતું. મા દુર્ગાની સ્તુતિ કરતા આ ગીતમાં ભારતમાતાની ભક્તિનો ભાવ પણ અભિપ્રેત છે. જે શબ્દો દેવીને લાગુ પડે છે તેટલા જ ભારતમાતાને પણ લાગુ પડે છે.
તે સમયે અંગ્રેજ રાજ્યકર્તાઓ ત્યાંની રાણીનો મહિમા ગાતાં ગીતો પ્રચલિત કરવા માગતા હતા, પરંતુ ભારતનાં રાષ્ટ્રવાદી તત્ત્વોને એ પસંદ ન હતું. આ ગીત સૌ પ્રથમ વાર 1896માં રાષ્ટ્રીય કાઁગ્રેસના કોલકાતાના અધિવેશનમાં જાહેર મંચ પરથી ગવાયું. ગાનારા મહાનુભાવ - કવિવર રવીન્દ્રનાથ ટાગોર હતા. આવી મહાન વ્યક્તિના કંઠે ગવાયું તે ગીત, તેથી તેના શબ્દો કેટલા મહાન હશે તેનો અંદાજ આવે છે. ત્યાર પછી તો અનેકવાર તે અધિવેશનમાં ગવાતું રહેતું.
દુ:ખની વાત છે કે મોટાભાગે તે સંપૂર્ણ ગીત ન ગવાતાં આંશિક રીતે જ ગવાય છે. કેટલાક અપવાદો બાદ કરતાં વંદે માતરમ્ ગાનની સંપૂર્ણ આવૃત્તિ ગવાતી નથી. આ ગીત રાષ્ટ્રભક્તિનું પ્રતીક હોવાથી, આ ગીત ભારતનો મહિમા ગાતું હોવાથી રાષ્ટ્રવિરોધી લોકોને તે પસંદ ન હતું... તેની વિરુદ્ધમાં ફતવા બહાર પડ્યા હતા... તેમ છતાં આ ગીત રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહની ધડકન બનીને રહ્યું છે.
આનંદમઠ નવલકથામાં રાષ્ટ્રભક્ત સંન્યાસી ક્રાંતિકારીઓ માટે લખાયેલા આ ગીતની ધૂન જદુનાથ ભટ્ટાચાર્યએ બનાવી હતી. હીરાલાલ સેન નામની એક વ્યક્તિએ તો રાજકીય રંગ આપીને એક ફિલ્મ પણ બનાવી હતી, જેમાં ફિલ્મના અંત ભાગમાં શહીદી વહોરનારના મુખમાં ‘વંદે માતરમ્’ શબ્દો મુકાયા હતા.
વંદે માતરમ્ ગીતનું  પૂર્ણ સ્વરૂપ નીચે મુજબ છે -
વંદે માતરમ્
સુજલામ્ સુફલામ્ મલયજ શીતલામ્
સસ્યશ્યામલામ્ માતરમ્
શુભ્રજ્યોત્સ્નાપુલકિતયામિનીમ્
ફુલ્લકુસુમિતદ્રુમદલ શોભિનીમ્
સુહાસિનીમ્ સુમધુરભાષિણીમ્
સુખદામ્ વરદામ્ માતરમ્ ...
વંદે માતરમ્
કોટિકોટિ કણ્ઠ કલકલ નિનાદ કરાલે
કોટિકોટિ ભુજૈ ધૃત ખરકરવાલે
કે બોલે મા તુમિ અબલે
બહુબલધારિણીમ્ નમામિ તારિણીમ્
રિપુદલવારિણીમ્ માતરમ્ ...
વંદે માતરમ્
તુમિ વિદ્યા તુમિ ધર્મ તુમિ હૃદિ તુમિ મર્મ
ત્વં હિ પ્રાણા: શરીરે
બાહુ તે તુમિ મા શક્તિ હૃદયે તુમિ મા ભક્તિ
તોમારઈ પ્રતિમા ગડિ મંદિરે, મંદિરે માતરમ્
વંદે માતરમ્
ત્વં હિ દુર્ગા દશપ્રહરણધારિણી
કમલા કમલદલવિહારિણી
વાણી વિદ્યાદાયિની
નમામિ ત્વાં નમામિ કમલામ્ અમલામ્ અતુલામ્ સુજલામ્ સુફલામ્ માતરમ્
વંદે માતરમ્
શ્યામલામ્ સરલામ્ સુસ્મિતામ્ ભૂષિતામ્
ધરણીમ્ ભરણીમ્ માતરમ્
વંદે માતરમ્
॥ ભારતમાતાકી જય॥
વાંચતાં જ કોઈને સરળતાથી સમજાઈ જાય એવા શબ્દોથી બનેલ આ કાવ્ય રાષ્ટ્રભક્તિના ભાવથી ભરેલું છે. આ ગીતને ગાતાં ગાતાં મન - હૃદય દેશભક્તિનાં સ્પંદનોથી ભરાઈ જાય છે. તેના શબ્દોની તાકાત એટલી બધી છે કે તે જ્યાં ગવાય છે ત્યાંના વાતાવરણને માતૃભૂમિની વંદનાના ભાવ અને આંદોલનોથી ભરી દે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ આ બે શબ્દોના જોર પર ચાલ્યો... શહીદો હસતાં હસતાં વંદે માતરમ્ના શબ્દો સાથે ફાંસીના માંચડે ચઢી જતા. વંદે માતરમ્ની વિશેષતા એ છે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો તેની મહત્ત્વની ભૂમિકા રહી છે, પરંતુ સ્વતંત્ર થયા પછી પણ ભારતની નવરચનાના કામમાં તે પ્રેરક બની રહ્યું છે.
તેના પ્રત્યેક શબ્દમાં આપણી માતૃભૂમિનું યથાર્થ વર્ણન છે. સુંદરતા, સંસ્કારિતા, ભવ્યતા, જ્ઞાન, સમૃદ્ધિ, ઉત્સાહ, ચૈતન્ય, અધ્યાત્મ, શક્તિ જેવી અસંખ્ય જીવનપોષક બાબતોનો સમૂહ એટલે આપણી પુણ્યભૂમિ ભારત એવો ભાવ તેમાંથી પ્રગટ થાય છે.
આજે પણ ઘણા લોકો પત્રની શરૂઆતમાં, વક્તવ્યની શરૂઆતમાં અને  અંતમાં આ શબ્દોનો ગર્વથી ઉપયોગ કરે છે. વંદે માતરમ્ ભારતના સ્વર્ણિમ ઇતિહાસનું એક સુવર્ણપ્રકરણ છે, તે ભારતની પહેચાન છે.
વંદે માતરમ્॥

- અરુણ યાર્દી

No comments:

Post a Comment