Jul 20, 2017

દાર્શનિક સુકરાત

મહાન દાર્શનિક સુકરાત દરરોજ સવારે ઘરેથી નીકળતાં અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોયા કરતા. એક દિવસ તેમના એક શિષ્યએ તેમને આમ કરતાં જોયા તો તેના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું. સુકરાત સમજી ગયા. તેઓએ શિષ્યને કહ્યું, ‘તું એમ વિચારતો હોઈશ કે, આ કદરૂપો વ્યક્તિ પોતાની જાતને આમ અરીસામાં શું કામ જોતો હશે?’ શિષ્ય ભોંઠો પડ્યો. તે કંઈક કહેવા જાય તે પહેલાં જ સુકરાત બોલ્યા, ‘હું દરરોજ સૌપ્રથમ મારી કુરુપતાને આ અરીસામાં જોઉં છું, કારણ કે તેના પ્રતિ સજાગ રહી શકું અને આમ કરવાથી મને એવું જીવન જીવવાની પ્રેરણા મળે છે કે મારા સદ્ગુણ એટલા નીખરે કે તે મારા કદ‚પાપણા પર ભારે પડી જાય.’ તો શું સુંદર મનુષ્યે અરીસામાં જોવાની જરૂર નથી ? ભોંઠા પડેલા શિષ્યે પૂછ્યું, સુકરાતે જવાબ આપ્યો. અરીસામાં તો તેણે પણ જોવું જોઈએ, પરંતુ તે જ્યારે અરીસામાં ખુદને જુએ, ત્યારે એવો અનુભવ કરે કે તેના ગુણો પણ એટલા જ સુંદર હોય, જેટલું સુંદર પરમાત્માએ તેને શરીર આપ્યું છે.

દેશભક્તિ

અમેરિકામાં વેદાંતનો પ્રચાર કરી ભારત આવતા પહેલાં સ્વામી રામતીર્થ જાપાન ગયા, જ્યાં તેમને એક શાળામાં આમંત્રવામાં આવ્યા. શાળામાં એક વિદ્યાર્થીને સ્વામીજીએ પૂછ્યું, ‘બેટા, તારો ધર્મ કયો ?’ બાળકે જવાબ આપ્યો ‘બૌદ્ધ’. સ્વામીજીએ ફરી પૂછ્યું, ‘બુદ્ધને લઈને તું શું વિચારે છે ?’ તેણે કહ્યું, ‘બુદ્ધ તો ભગવાન છે.’ ‘તું કન્ફ્‌યુશિયસને જાણે છે ?’ સ્વામીજીએ પ્રશ્ર્ન કર્યો. હા, તે અમારા મહાન સંત છે.’ બાળકે જવાબ આપ્યો. સ્વામી રામતીર્થને પેલા બાળકમાં વધારે રસ પડ્યો. તેઓએ તેને પૂછ્યું, ‘જો કોઈ દેશ જાપાનને જીતવા માટે જાપાન પર ચડાઈ કરી દે અને તેના સેનાપતિ ભગવાન બુદ્ધ કે કન્ફ્‌યુશિયસ હોય તો ?’ આ સાંભળતાં જ પેલા બાળકનો ચહેરો તમતમી ઊઠ્યો અને કહ્યું કે હું મારા દેશની રક્ષા માટે ભગવાન બુદ્ધ અને કન્ફ્‌યુશિયસ સામે પણ હથિયાર ઉઠાવતાં નહીં અચકાઉં. વિદ્યાર્થીનો જવાબ સાંભળી સ્વામી રામતીર્થ ગદગદ થઈ ગયા અને તેમના મુખમાંથી આપોઆપ શબ્દો સરી પડ્યા. ‘જે દેશનાં બાળકો આવાં દેશભક્ત હોય એ દેશ ક્યારેય પણ કોઈનો ગુલામ ન બની શકે.’