Sep 25, 2012

શ્રેષ્ઠ વ્યક્તિના આઠ ગુણ

સરદાર વલ્લભભાઈ પટેલને લોકો આઝાદીના સાડા છ દાયકા પછી પણ ભૂલી શક્યા નથી. તેનું કારણ શું ? શ્રી મનુભાઈ પંચોલીએ મહાભારતનું ઉદાહરણ આપીને તેમની નીતિ પણ એ પ્રકારની જ હોવાનું કહ્યું છે.


ત્યારે, વિદૂરનીતિનો એક શ્ર્લોક તેમને બંધ બેસતો લાગે છે.


अष्टौ गुणाः पुरुषं दीपयन्ति

प्रज्ञा च कौल्यं दमः श्रुतं च |

पराक्रमश्चाबहुभाषिता च

दानं यथाशक्ति कृतज्ञता च ॥


માણસને દીપાવતાં - ગૌરવ અપાવનારાં આઠ લક્ષણ છે : બુદ્ધિ, શરાફત (કુલીનતા), ઈન્દ્રિય નિગ્રહ (દમ), શાસ્ત્રો - જે ક્ષેત્રમાં હોઈએ તેનો ઊંડો અભ્યાસ અર્થાત્ શાસ્ત્રજ્ઞાન, ઓછાબોલાપણું (અબહુભાષિતા), દાન અને કૃતજ્ઞતા અર્થાત્ કદરદાની.


આ ગુણોએ સરદારને મહાન બનાવ્યા.

અધર્મથી કમાયેલું ધન

એક વ્યાપારી લોકોને છેતરીને ખૂબ કમાયો. એણે ધીરધારનો ધંધો પણ કર્યો અને અભણ લોકોને મૂર્ખ બનાવીને, એમણે નાણાં લેતી વખતે અવેજમાં આપેલાં ઘરેણાં, જમીન, મકાન વગેરે પણ ચાઉં કરી ગયો હતો. એની પાસે મબલખ કાળું નાણું હતું, પણ એની સલામતીની ચિંતા હતી.


એણે એક પટારામાં ભરીને આ ધન, સોનું વગેરે ઘરની પાછળના વાડામાં દાટી દીધું. પણ ત્યાંથી કોઈ ચોરી જાય તો? રાતમાં વારંવાર ઊઠીને એ જોવા જાય. એક ચોરે આ જોયું, એને શંકા પડી અને એક અંધારી રાતે બધું લૂંટી ગયો. વેપારી માથે હાથ મૂકીને રોયો.


ખોટી રીતે મેળવેલા ધનથી બચવાની સલાહ આપતો શ્ર્લોક વિદુર નીતિમાં છે.


धनेन अधर्मलब्धेनयद् छिद्रमपि धीयते।असंवृतं तद् भवतिततः अन्यदवदीर्यते॥


અધર્મથી મેળવેલા ધન દ્વારા માનવી પોતાના દોષ (છિદ્ર) છુપાવવા ચાહે તો પણ તે છાનાં રહેતાં નથી. ઊલટા નવા દોષ-દુર્ગુણ પેદા થાય છે.


કાળું ધન સાચું સુખ ન આપી શકે.

Sep 9, 2012

એ કરતાં શાળાને તાળું મારી દેવું સારું

થોડું ભણેલા એક વૃદ્ધે પોતાના ગામમાં જ શાળા શરૂ કરી. ગામનાં છોકરાં ભણે, ગણે અને સંસ્કારી થાય એ તેમની ભાવના હતી.


ધીરે ધીરે શાળા સારી ચાલવા લાગી. ઘણા વિદ્યાર્થીઓ ભણીગણીને નોકરી ધંધે લાગી ગયા.


વૃદ્ધની ઉંમર વધી ગઈ હતી. છતાંય તે સક્રિય હતા. એકવાર શાળાના એક અગત્યના કામે શિક્ષણ વિભાગની તાલુકા સ્તરની આફિસે ગયા.


ત્યાંના સિનિયર કારકૂનને મળી પોતાની શાળાની મુશ્કેલી રજૂ કરી. કારકૂને તે અંગેનું દફતર તપાસ્યું અને કહ્યું, ‘કાકા કંઈક સમજો તો કામ થઈ જાય.’ પેલા વૃદ્ધ કારકુનનો ભાવ સમજી શક્યા નહિ. તેમણે કહ્યું ‘આપ જે સૂચવશો એ સુધારો વધારો અમે જરૂર કરીશું.’


પેલા કારકૂને વૃદ્ધ કાકાને 2-3 વાર કંઈક સમજવાની વાત કરી. પડખેના ટેબલ પર બેઠેલા એક ભાઈ કાકાને જરા દૂર લઈ જઈ ‘કંઈક સમજવા’નો અર્થ સમજાવ્યો.


‘અરે ભાઈ ભુવો ય એક ઘર મૂકતો હોય છે. આ બધા એમાંથી યે ગયા?’ વૃદ્ધ બોલ્યા અને જવા લાગ્યા. તેવામાં એક ઓળખીતા મળ્યા તેમણે વાત જાણી કહ્યું, ‘મારી સાથે ચાલો એ સાહેબ આપણી શાળાના જ વિદ્યાર્થી હતા. એટલે કામ થઈ જશે.’ ‘ભાઈ અમારી શાળાનો વિદ્યાર્થી જ આવો પાકતો હોય તો તેને સમજાવવાને બદલે શાળાને તાળું મારી દઈશ. શાળામાંથી આવા કુપાત્રો પેદા થતા હોય તો તો તેના કરતાં શાળા બંધ કરી દેવી સારી.’ એમ બોલતાં બોલતાં તે રડી પડ્યા.