Apr 30, 2012

નારીરત્ન જેવું કોઈ રત્ન નથી


અગત્સ્ય મુનિ તપમાં બેઠા હતા. રાક્ષસોએ વન ઉજાડવા માંડ્યું, આક્રમણ કર્યું. ત્યારે ઋષિપત્ની લોપામુદ્રાએ તેમને પડકાર્યા અને ભગાડ્યા એવી કથા છે. લોપામુદ્રા મંત્રદ્રષ્ટા નારીઓમાંની એક છે, માતૃકા કહેવાય છે. ચ્યવન ઋષિએ યજ્ઞમાં અશ્ર્વિનીકુમારોને પણ દેવ તરીકે નિમંત્ર્યા. ઇન્દ્રે યજ્ઞભંગ કરવાનાં તોફાન આદર્યાં. ઋષિપત્ની સુકન્યાએ ધનુષ ઉઠાવ્યું હતું. કલમ, કડછી અને બરછી - ત્રણેમાં સિદ્ધહસ્ત મહિલાઓની એક શ્રૃંખલા આપણા ઇતિહાસમાં છે.
આવી સ્ત્રીઓને ચાણક્યે नास्ति स्त्रीसमं रत्नम् અર્થાત્ સ્ત્રી સમાન કોઈ રત્ન નથી એમ કહીને બિરદાવી છે.
વિદુરનીતિનું એક સુભાષિત છે :
पूजनीयाः महाभागाः
पुण्याश्च गृहदीप्तयः।
स्त्रियः श्रियो गृहस्योक्ता ।
तस्माद् रक्ष्या विशेषतः॥
સ્ત્રીઓ પૂજાપાત્ર છે, પરિવારને પ્રતિષ્ઠા અપાવનારી અને પ્રતિષ્ઠા સાચવનારી કલ્યાણ કરનારી છે, પવિત્ર છે અને પરિવારની શોભા - પ્રતિષ્ઠા છે. તેથી તેમનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ.
ચાણક્ય શતકનો એક શ્ર્લોક કહે છે કે ખેડૂત માટે સુકાળ સુખદાયી અને નીરોગી માણસ સદા સુખી હોય છે, પરંતુ જ્યાં સ્ત્રી ઉપર પ્રેમવર્ષા થતી હોય એ પરિવારમાં તો રોજ આનંદ ઉત્સવ જ હોય છે.

Apr 26, 2012

23 એપ્રિલ વિશ્ર્વ પુસ્તક દિવસ નિમિત્તે


પુસ્તકનો સંગ લાવે જીવનમાં રંગ

23 એપ્રિલ એટલે વિશ્ર્વ પુસ્તક દિવસ. જરા વિચારો પુસ્તકોનું આપણા જીવનમાં શું મહત્ત્વ ? પુસ્તકો વગરની આ દુનિયા કેવી હોત ? શું માનવનો આટલો બધો માનસિક વિકાસ થયો હોત ? આપણી આટલી બધી સભ્યતાઓ વિકસિત થઈ હોત ? શું ગ્લોબલાઈઝેશનની શરૂઆત પુસ્તકો વિના થઈ હોત ? શું માનવી ચંદ્ર સુધી પહોંચી શક્યો હોત ? કદાચ ના ! પુસ્તકો વગર જગત આખું વિચારશૂન્યતાના બવંડરમાં ક્યારનુંય ફંગોળાઈ ગયું હોત... પુસ્તકોમાં એક શક્તિ છે. એક આખા જગતને બદલવાની, સમાજધર્મને કેળવવાની. કદાચ પુસ્તકના આ મહત્ત્વને સમજવા, સમજાવવા અને તેને કાયમ રાખવા જ વિશ્ર્વ આખું 23 એપ્રિલને ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ તરીકે ઊજવે છે. તો આવો 21મી સદીમાં 2012ની 23મી એપ્રિલે આપણે સૌ પુસ્તકોની દુનિયામાં ડૂબકી લગાવીએ....
  • પુસ્તકો વિનાની દુનિયાની કલ્પ્ના તમે કરી શકો ?
  • ગાંધીજી, અબ્દુલ કલામ, સ્વામી વિવેકાનંદ ની સફળતાનું રાઝ તમને ખબર છે ?
  • પુસ્તકો જ આપણા વિચારશૂન્ય વિચારોમાં સર્જનાત્મકતા લાવે છે.
  • 21મી સદીમાં સફળ થવું હોય તો પુસ્તકો વાંચો.
  • ‘લીડર’  બનવું હોય  તો પહેલાં ‘રીડર’ બનો.
શા માટે ઊજવાય છે 23 એપ્રિલે ‘પુસ્તક દિવસ’
23 એપ્રિલ 1616ના દિવસે એક એવા લેખકે આ દુનિયામાંથી વિદાય લીધી,  જેમનાં પુસ્તકોનો વિશ્ર્વની મોટાભાગની ભાષાઓમાં અનુવાદ થયો છે. એ લેખક એટલે શેક્સપિયર, જેમણે પોતાના જીવનમાં 35 નાટકો અને 200થી વધારે કવિતાઓ લખી છે. સાહિત્યજગતમાં શેક્સપિયરનું નામ ખૂબ ઉચ્ચસ્થાને છે અને તેને ધ્યાનમાં રાખીને જ પુસ્તકોના મહત્ત્વને 21મી સદીમાં પણ જાળવી રાખવા યુનેસ્કો દ્વારા 1995થી શેક્સપિયરની પુણ્યતિથિ, એટલે કે 23 એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. જોકે એવું પણ કહેવાય છે કે 1923માં સ્પેનના પુસ્તક વિક્રેતાઓ દ્વારા પ્રસિદ્ધ લેખક મીગુયેલ ડી સરવેન્ટીસને સન્માન આપવા 23 એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ની જાહેરાત કરી હતી. 23 એપ્રિલે આ લેખકનું નિધન થયું હતું. જો કે વિખ્યાત અંગ્રેજ કવિ નાટ્યકાર વિલિયમ શેક્સપિયર સહિત છ જેટલા જગપ્રસિદ્ધ સાહિત્યકારોના જન્મ અને મૃત્યુની તારીખ 23 એપ્રિલ છે. ટૂંકમાં વિશ્ર્વમાં વધુ ને વધુ લોકો વાંચન પ્રત્યે અભિરુચિ કેળવે એવા ઉદ્દેશથી ‘યુનેસ્કો’એ તા. 23મી એપ્રિલે ‘વિશ્ર્વ પુસ્તક દિન’ ઉજવવાનું નક્કી કર્યંુ છે. ભારત સહિત વિશ્ર્વના મોટાભાગના દેશોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું ઘડતર કરનારાં પુસ્તકોને સહેલાઈથી સુલભ બનાવી વાંચન પ્રવૃત્તિ કેળવાય એવો આશય આ દિવસની ઉજવણી પાછળ રહેલો છે.
21મી સદીમાં ચેમ્પિયન બનવા માટે, અદ્ભુત અસાધારણ સફળતા મેળવવા માટે સૌને જરૂર છે ‘ફાઈવ આઈ’ (ઋશીંય ઈં) ની ! ઈમેજીનેશન, ઈન્ફર્મેશન, ઈન્ટેલીજન્સ, ઈનોવેશન અને ઈન્સાઈટ.... અને આ ફાઈવ આઈ મેળવવાનો એક માત્ર માર્ગ છે પુસ્તકો. એવું કહેવાય છે કે એક સાચું પુસ્તક સો મિત્રો બરાબર હોય છે. લેખક અને ચિંતક ગુણવંત શાહ કહે છે કે, ‘જે ઘરમાં બે સારાં પુસ્તકો ન હોય તે ઘરમાં દીકરી ન આપવી.’ પુસ્તક જ્ઞાનનો ખજાનો, જ્ઞાન મેળવવાનું માધ્યમ, એક જ જગ્યાએ જરા પણ હલ્યા વિના સમગ્ર બ્રાંડની સફર ખેડાવનારું જાદુઈ હથિયાર છે. પુસ્તકો પાસે આપણી દરેક સમસ્યાનું સમાધાન છે. પુસ્તકો જગતને બદલી શકે છે. પુસ્તકો આપણા જીવનને બદલી શકે છે. પુસ્તકોની પાસે આવી અદ્ભુત તાકાત છે.
‘હું નરકમાં પણ સારાં પુસ્તકોનું સ્વાગત કરીશ, કારણ કે તેમનામાં એટલી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ બની જશે.’
શ્રી લોકમાન્ય ટિળકના આ શબ્દો છે. રિચાર્ડ ડી બરી કહે છે, ‘પુસ્તક એ એક એવો શિક્ષક છે કે જે સોટી માર્યા વગર, કડવાં વચન કે ક્રોધ કર્યા વગર, દાન-દક્ષિણા લીધા વિના જ્ઞાન આપે છે.’ વ્યક્તિના સર્વાંગી વિકાસમાં પુસ્તકોનો મહત્તમ ફાળો છે. ઘણાં પુસ્તકો ઇતિહાસ રચે છે તો ઘણાં વૈચારિક ક્રાંતિના બીજ પણ રોપે છે. જ્ઞાનના ફેલાવા માટે જો કોઈ સૌથી વધુ શક્તિશાળી માધ્યમ હોય તો તે પુસ્તકો છે. પુસ્તકો જ વિશ્ર્વને પ્રેરણા આપીને સામાજિક જાગૃતિનું કામ પણ કરે છે. સ્વામી વિવેકાનંદે સારાં પુસ્તકો વિનાના ઘરને સ્મશાન જેવું ગણ્યું છે....! ઘરને સ્વર્ગ બનાવવામાં પુસ્તકોનો સિંહફાળો છે. પુસ્તકો જ સુસંસ્કારોનું સિંચન કરી વ્યક્તિના વિચારો અને કાર્યોમાં રચનાત્મક પરિવર્તન લાવી વિચાર અને કાર્યમાં રચનાત્મક પરિવર્તન લાવી શકે છે.
પુસ્તક : સફળતાની ચાવી
એક વાત પહેલાં પણ નિશ્ર્ચિત હતી અને આજે પણ એટલી જ નિશ્ર્ચિત છે, કે સફળ થવું હશે તો વાંચવું પડશે. પુસ્તકોની દુનિયામાં ડૂબવું પડશે ! પત્રકાર હોય કે બઁક મેનેજર, બધાએ પુસ્તકો વાંચવાં જ પડશે, સફળ થવું હશે તો. એવું કહેવાય છે કે ‘ન વાંચનાર લોકોએ વાંચનાર લોકોની આંગળી પકડીને ચાલવું પડે છે.’ ‘લીડર’ બનવું હોય તો પહેલાં ‘રીડર’ બનવું જ પડે. ગાંધીજી મહાત્મા કેમ બન્યા? તેમના કર્તૃત્વના કારણે. તેમનામાં એટલાં સુંદર કાર્યો કરવાનું બળ, પ્રેરણા ક્યાંથી આવી ? પુસ્તકોમાંથી ! ગાંધીજી નાતાલથી ડરબન જતા હતા ત્યારે રસ્કિનનું ‘અનટુ ધી લાસ્ટ’ પુસ્તક વાંચ્યું અને ગાંધીજી માટે તે પુસ્તક રાહ ચીંધનારું બની ગયું. જવાહરલાલ નહેરુએ જેલવાસ દરમિયાન પુષ્કળ પુસ્તકો વાંચ્યા હતા. વડદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ પણ પુસ્તક પ્રેમી હતા. પુસ્તકો અને વાંચનનું મહત્ત્વ તે સમજતા હતા. તેમના સમય દરમિયાન તેમના રાજ્યનો એક પણ તાલુકો સમૃદ્ધ લાઈબ્રેરી વિનાનો ન હતો. ભારતના અત્યંત લોકપ્રિય પૂર્વ રાષ્ટ્રપતિ ડા. એ.પી.જે. અબ્દુલ કલામના ઉત્તમ કામની તો આપણને ખબર જ છે પણ તેમના માનસને ઘડવામાં અગત્યનો ફાળો કોનો છે, ખબર છે ? પુસ્તકોનો જ ! એક વિદ્યાર્થીના પ્રશ્ર્નના જવાબમાં ડા. કલામે કહ્યું હતું કે હું ચાર પુસ્તકોને દિલની નજીક રાખું છું. તેને વાંચીને હું માણું છું. ડા. એલેક્સિસ કેરલેનું ‘મન ધ અનનોન’, તિરુવલ્લુવરનનું ‘તિરુક્કુલ’, આઈશલર વોટ્સનનું ‘લાઈટ્સ ફ્રોમ મેની લેમ્પ્સ’ અને કુરાન આ પુસ્તકો મારા જીવનનાં સાથીદાર છે.
ટૂંકમાં ગાંધીજી હોય કે અબ્દુલ કલામ હોય, સ્વામી વિવેકાનંદ હોય, કે પછી આપણી આઝાદીકાળના વીરલાઓ લોકમાન્ય ટિળક, ટાગોર, સુભાષચંદ્ર બોઝ, વીર સાવરકર હોય, મેઘાણી હોય કે મહર્ષિ અરવિંદ હોય, બધાની પાછળ પુસ્તકોનો એક અદ્ભુત ફાળો છે. તેમના મગજમાં સુંદર વિચારોનું સર્જન કરનારું સાધન પુસ્તક જ છે.
ગુલામીકાળ હોય કે 21મી સદીની ઝાકમઝાળ દુનિયા હોય, પુસ્તકો જ દરેક સમસ્યાનો ઉકેલ છે. ઈન્ટરવ્યૂમાં માથું ખંજવાળ્યા કરતાં તર્કબદ્ધ સચોટ જવાબ આપવો છે, મિત્રોની વાતનો દલીલબદ્ધ વિરોધ કરવો છે, અદ્ભુત વાક્છટાથી સૌને પ્રભાવિત કરવા છે ? જો જવાબ હા હોય તો ચિક્કાર વાંચો... પુસ્તકોનો ખજાનો છે. જુદાં જુદાં પુસ્તકો વાંચતા જશો તેમ તેમ તમારી સર્જનાત્મકતા વધતી જશે ! જસ્ટ ટ્રાય.
ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તકાલયનો મહિમા
કોમ્પ્યુટર ટી.વી.ના ઇલેક્ટ્રોનિક યુગમાં પુસ્તકો ટકી શકે ખરાં? એવો પ્રશ્ર્ન જરૂર થાય. પરંતુ ઇલેક્ટ્રોનિક માધ્યમો મોટે ભાગે હિંસા, રોગચાળો, ભૂખમરો, મોત, અશ્ર્લીલતા અને પતન તરફ ધકેલતા ‘પ્રોગ્રામો’ જ વેચે કે વહેંચે છે...! વ્યક્તિના વિચારોના યુદ્ધમાં સારાં પુસ્તક જ સબળ શસ્ત્રો પુરવાર થાય છે. કમનસીબે આજે શિષ્ટ સાહિત્ય વાંચવા કે વસાવવાથી લોકો દૂર ભાગે છે. લોકો બિનજરૂરી અને વાસ્તવિક વસ્તુ માટે ખર્ચ કરે છે, પરંતુ પુસ્તકોની ખરીદીમાં રસ દાખવતા નથી.
પાનના ગલ્લેથી સિગારેટ કે વ્યસન માટે કિંમત ચૂકવવામાં બાંધછોડ ન કરનારો માણસ સારું પુસ્તક ખરીદવામાં પાછો પડે છે...! પણ, અશ્ર્લીલ પુસ્તક પાંચ ગણી કિંમત ચૂકવીને ઉત્તેજનાને જરૂર પોષે છે.. ટાલ્સ્ટાય કહે છે, ‘અશ્ર્લીલ પુસ્તકો વાંચવા એ ઝેર પીવા બરાબર છે.’ ટી.વી.ને કારણે લોકો વાંચનથી વિમુખ થયા છે. આ ઇડિયટ બાક્સે તો વિશ્ર્વના વારસા અને સંસ્કૃતિને માળિયે ચડાવી દીધાં છે...! આપણે એ ન ભૂલવું જોઈએ કે પુસ્તકોનાં મૂળ તો સદીઓ પુરાણાં છે, તેને સહેલાઈથી ઉખેડી શકાય તેમ નથી...!
સફળ થવાનું અને સફળ જીવન જીવવાનું સાચું જ્ઞાન તેને આજે ગ્રંથાલયમાંથી જ મળી શકે તેમ છે. ભલે ઈન્ટરનેટનો યુગ હોય, તેમ છતાં આજે પણ માત્ર પુસ્તકાલયો જ લોકોને સારાં પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની ભૂમિકા ભજવી શકે છે. જૂના જમાનામાં પુસ્તક ઘરની શોભા ગણાતી. લોકો પુસ્તક વાંચતા અને વંચાવતા. આજે પણ પુસ્તક ઘરની શોભા વધારી જ રહ્યું છે. ફરક માત્ર એટલો જ છે તે સમયે પુસ્તકો વંચાતાં, આજે માત્ર શોભાના ગાંઠિયારૂપ સચવાય છે. પુસ્તકોનું મહત્ત્વ આજે ભુલાઈ ગયું છે. કદાચ એટલા માટે જ આપણે ‘દિન’ ઊજવવો પડે છે.
પુસ્તકોનો મહિમા માત્ર આ એક દિવસ પૂરતો જ બની ન રહેવો જોઈએ. પુસ્તકાલયોના માધ્યમથી વધુ ને વધુ લોકો પાસે પુસ્તકો પહોંચે, લોકો પુસ્તકો ખરીદતા થાય, વેકેશનગાળામાં વાંચન શિબિરો અને નવાં પુસ્તકોનાં પ્રદર્શનો યોજાય. તેની સાથે સાથે આપણે પણ સારાં પુસ્તકોનું નાનકડું પુસ્તકાલય ઘરમાં ઊભું કરીએ, સારા-માઠા પ્રસંગોએ સ્નેહીજનોને પુસ્તકોની ભેટ ધરી... ટી.વી. સીડી, રોમ અને ઇન્ટરનેટ તરફ વળેલાં બાળકો-યુવાનોને પુસ્તકોના વાંચનની ટેવ પાડીએ... સૌમાં પુસ્તકપ્રેમ વિકસે એવી શુભ ભાવના-શુભ સંકલ્પ સાથે પુસ્તકદિન ઊજવીએ...!!
મહાનુભાવો અને વાંચન
સંઘના દ્વિતીય સરસંઘચાલક શ્રી ગુરુજીનું વાંચન કેટલું વિશાળ હશે એનું એક દ્ષ્ટાંત છે. પાલી અને અર્ધમાગધી જેવી પ્રાકૃત ભાષાઓની હરતીફરતી લાયબ્રેરી ગણાતા એક વિદ્વાન તેમને મળવા આવેલા. ચર્ચા દરમિયાન પોતાનો મુદ્દો પ્રસ્થાપિત કરવા શ્રી ગુરુજીએ ભગવાન બુદ્ધના શબ્દો ટાંક્યા. એનો સંદર્ભ આપ્યો. પેલા વિદ્વાન આશ્ર્ચર્યચકિત હતા, કારણ એમણે આ વાંચ્યું નહોતું. શ્રી ગુરુજીએ પાછળથી એની નકલ તેમને મોકલી આપેલી તેવું યાદ છે.
સ્વામી વિવેકાનંદ પરદેશ યાત્રા દરમિયાન એક પશ્ર્ચિમી વિદ્વાનને મળવા ગયેલા. એ વિદ્વાન સ્નાનગૃહમાં હતા. તેમના ટેબલ પર તેમનું જ એક તાજું પ્રકાશિત પુસ્તક પડ્યું હતું. એ વિદ્વાન આવ્યા ત્યાં સુધીમાં નજર નાખી ગયા અને વાતચીત દરમિયાન એ પુસ્તકના જ સંદર્ભો આપ્યા ત્યારે પેલા વિદ્વાન પણ એમની વાચનક્ષમતા અને ગ્રહણશક્તિ સામે નમી પડ્યા હતા.
પંડિત દીનદયાલ ઉપાધ્યાય એક ગોષ્ઠિમાં ભાગ લઈ રહ્યા હતા. વિવિધ ક્ષેત્રના વિદ્વાનો અને પીઢ રાજનીતિજ્ઞો પણ તેમાં હતા. એક વક્તાએ ડાબેરી વિચાર આધારિત મુદ્દો ખડો કર્યો, ત્યારે પંડિતજીએ કાર્લ માર્ક્સને ટાંકીને એમને ચૂપ કરી દીધા હતા. વિરોધી વિચારનાં પુસ્તકોનો પણ ગહન અભ્યાસ કરવા તેઓ હંમેશાં આગ્રહ રાખતા.
અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી અને જસવંત ઠાકર જ નહિ જયશંકર સુંદરી પણ અઠંગ વાચક હતા. સુંદરી તો અંગ્રેજી પુસ્તકો બીજા પાસે વંચાવીને પણ સમજતા. ઉપેન્દ્ર ત્રિવેદી આજ પણ તેમના ક્ષેત્રને લગતાં અનેક અવતરણો આપે છે.
એવું કહેવાય છે કે ડા. બાબા સાહેબ આંબેડકરની અડધી જિંદગી લાઈબ્રેરીમાં જ પસાર થઈ હતી. એમને ખૂબ જ વાંચવાનો શોખ હતો. દેવું કરીને પણ વાંચવું જોઈએ એવું તેમનું માનવું હતું. એક જગ્યાએ ખુદ બાબાસાહેબે લખ્યું છે કે, ‘મેં એટલું વાંચન કર્યંુ છે કે કયા પુસ્તકમાં કયા પાને કયો સંદર્ભ છે તે તરત જ મારા ધ્યાનમાં આવી જાય ! ભારત બંધારણ નામના એક પુસ્તકના આધારે ચાલે છે, અને એ બંધારણ ડા. આંબેડકરની દેણ છે. આંબેડકરજી પાસે આ સર્જન કરવાની શક્તિ ક્યાંથી આવી. પુસ્તકો પાસેથી, તેમણે પુષ્કળ વાંચ્યું. આજે મોરારિબાપુની અદ્ભુત વાક્છટા, દ્ષ્ટાંતો અને શાયરી આપણને ગમે છે ને ? મોરારિબાપુ પુષ્કળ વાંચે છે. પુસ્તકો માટે તેમને માન છે.’ સરદાર પટેલ પણ લાઈબ્રેરીમાં કલાકો સુધી વાંચતા.
વિશ્ર્વનો સૌથી જૂનો પુસ્તક મેળો
ફેસ્ટિવલો અને મેળાઓ માટે દુનિયામાં સૌથી પ્રસિદ્ધ દેશ છે, જર્મની. પુસ્તક મેળાની બાબતમાં પણ આ વાત સાચી છે. ફ્રેન્કફર્ટનો પુસ્તક મેળો વિશ્ર્વનો સૌથી જૂનો પુસ્તક મેળો પણ છે. બે વર્ષ પહેલા ભરાયેલા મેળામાં એક ખાસ વિભાગ એવી વિશ્ર્વ પ્રસિદ્ધ કૃતિઓનો હતો, જેના ઉપરથી વિશ્ર્વ પ્રસિદ્ધ ફિલ્મોનું નિર્માણ થયું હોય. ભારતને પણ એની જુદી જુદી ભાષાઓની આવી કૃતિઓ અને એના નામ ઉપરથી બનેલી ફિલ્મો લઈને આવવાનું આમંત્રણ મળ્યું હતું, પણ આપણું સરકારી તંત્ર આ પડકાર ઉઠાવી શક્યું નહોતું. નવી દિલ્હીના વિશ્ર્વ પુસ્તક મેળામાં 38 દેશોએ અને 500 ભારતીય પ્રકાશકોએ ભાગ લીધો. એની સામે ફ્રેન્કફર્ટના મેળામાં 84 દેશોના 7,000 પ્રકાશકો આવે છે અને ગયે વર્ષે તેમાં સાડા ત્રણ લાખ પુસ્તકો મુકાયાં હતા ! ફ્રેન્કફર્ટના મેળાનું રિપાર્ટિંગ કરવા માટે વિશ્ર્વના 6,000 પત્રકારોનો કાફલો ઊતરી પડે છે, ત્યારે આપણા પુસ્તક મેળાની અખબારો કે રેડિયો અને ટી. વી.માં પણ ઉપેક્ષા થાય તો એની જવાબદારી વધુ તો મેળાના આયોજકોની જ ગણાય.
જમાનો છે ઈ-રીડર અને ઈ-બુક્સનો !
ઈન્ટરનેટ અને ટેક્નોલોજીની ક્રાંતિના કારણે હવે બધું જ આનલાઈન છે. આખે આખી લાઈબ્રેરી તમે તમારા ઘરના ડ્રોઈંગરૂમમાં બેસી ચક કરી શકો છો. અરે, ચક શું હજાર-બે હજાર-પાંચ હજાર પુસ્તકો તમે તમારા હાથની હથેળી જેટલા ઈ-રીડરમાં સાચવી શકો છો, ઈચ્છો ત્યારે, ગમે ત્યાં વાંચી શકો છો. આજે જમાનો છે ઈ-રીડરનો. તમારે પ્રવાસમાં જવું હોય કે ઘરમાં પુસ્તકો રાખવાની જગ્યા ન હોય તો નો પ્રોબ્લેમ ! એક ઈ-રીડર વસાવી લો અને ફટાફટ તેમાં પુસ્તકો અપલોડ કરી દો. એક બસો ગ્રામના ઈ-રીડરમાં તમે હજાર પુસ્તકો અપલોડ કરી શકો. જ્યાં જવું હોય ત્યાં હવે પુસ્તકોના થોથાં નહિ માત્ર મોબાઈલની જેમ ઈ-રીડર સાથે રાખવાનું. ઈ-રીડર એટલે તમારી હથેળીમાં સમાવેલી લાઈબ્રેરી. પુસ્તકોને સાચવવાની, તેને ઉધઈ લાગી જવાની, ફાટી જવાની કોઈ ઝંઝટ નહિ. એક અંદાજ પ્રમાણે લાઈબ્રેરીમાં જનારો વર્ગ આજે ઓછો થઈ રહ્યો છે ત્યારે ઈ-રીડર પુસ્તકોને ઘર-ઘર સુધી પહોંચાડવામાં અગત્યનો ફાળો ભજવશે. બીજી એક અગત્યની વાત છે કે ઈ-રીડર રાખવાથી તમારે પુસ્તકો ખરીદવા પણ નહીં જવું પડે. અમુક પુસ્તકો તો આનલાઈન ડાઉનલોડ કરવા મળે છે અને અમુક પુસ્તકોની કિંમત હોય તો આનલાઈન ઘરે બેઠા ક્રેડિટ કાર્ડ દ્વારા તમે પૈસા ચૂકવી પુસ્તક મેળવી શકો છો. ઈ-રીડર અને ઈ-બુક્સનું વર્ચસ્વ 21મી સદીમાં વધી રહ્યું છે. ટાઈમ(સમય)નો અભાવ ધરાવતા આજના માનવી માટે પુસ્તકો વાંચવા માટે આ એક અદ્ભુત સુવિધા છે.
ટૂંકું ને ટચ
આજે સૌ કોઈ એક વાક્ય તો જરૂર કહેશે કે લોકોની ‘વાચન ભૂખ’ ઘટી રહી છે. વાત પણ સાચી લાગે ! પહેલાના જમાનામાં અને આજના જમાનામાં થોડું તો પરિવર્તન આવે જ ને ! એ જમાનામાં પુસ્તકનું એક આગવું સ્થાન હતું. મનોરંજનનાં સાધનો ઓછાં હતાં માટે લોકો સમયનો ઉપયોગ કરવા થોથાંને થોથાં વાંચી જતા, પણ આજે લોકો પાસે સમય નથી. વાચકો ટૂંકું ને ટચ વાંચવાનું પસંદ કરે છે. કાફી ટેબલ બુક્સનું ચલણ કંઈ એમને એમ નથી વધ્યું ! માત્ર પાંચ મિનિટમાં કાફી પીતાં પીતાં આખા પુસ્તકનો મર્મ સમજાઈ જાય અને મજા પણ આવે તેવી આકર્ષક બુકનું ચલણ વધી રહ્યું છે. પ્રકાશકો પણ આજે નાની નાની પુસ્તિકાઓ અને ટૂંકા લખાણની અપેક્ષા લેખકો પાસેથી વધારે રાખે છે. ફોટોજેનિક અને આકર્ષક લે-આઉટવાળાં પુસ્તકોનું પ્રમાણ આજે વધી રહ્યું છે. છાપાં હોય કે સામયિક, બધાં જ ટૂંકું ને ટચ અને આકર્ષક કરવા કામે લાગી ગયાં છે. આવનારી સદી ‘ટૂંકું ને ટચ’ લખનારા લેખકોની જ હશે ! એ વાત નિશ્ર્ચિત છે.
પ્રકાશન બન્યો વ્યવસાય
આજે પુસ્તક પ્રકાશનનો ધંધો આપણા દેશમાં સંપૂર્ણ રીતે ખીલ્યો છે, પણ દુ:ખની વાત એ છે કે ઉત્તમ પુસ્તકો અને સારા લખાણનું મહત્ત્વ ઘટ્યું છે. આજે વૈચારિક પુસ્તકોનું વેચાણ ઘટ્યું છે અને માહિતીપ્રદ પુસ્તકોનું વેચાણ વધ્યું છે. એક અંદાજ મુજબ આપણે ત્યાં આજે દર વર્ષે 80,000 જેટલા પુસ્તકો પ્રકાશિત થાય છે. જેમાંથી 21,000 જેટલા હિન્દી ભાષામાં, 18000 જેટલા અંગ્રેજી ભાષામાં અને બાકીના પ્રાદેશિક ભાષામાં પુસ્તકો છપાય છે. પુસ્તક પ્રકાશનમાં અમેરિકા, લંડન આપણાથી આગળ છે. એક અંદાજ મુજબ અમેરિકામાં દર વર્ષે 3,00,000 અને લંડનમાં 2,00,000 પુસ્તકો છપાય છે. વિશ્ર્વમાં પુસ્તકોની દ્ષ્ટિએ અમેરિકા, લંડન, ચીન, રશિયા, જર્મની, સ્પેન પછી આપણું સ્થાન સાતમું છે, પણ અંગ્રેજી પુસ્તકોમાં એ સ્થાન ત્રીજું છે... વિશ્ર્વની વસ્તીનો 16 ટકા ભાગ આપણા દેશમાં વસે છે, પણ વિશ્ર્વનાં પુસ્તકોનો માત્ર 3 ટકા ભાગ જ આપણે ત્યાં છપાય છે. એક અંદાજ મુજબ વિશ્ર્વનો સરેરાશ માથાદીઠ પુસ્તક વપરાશ 200 પાનાનો છે, પણ ભારતનો માત્ર 30 પાનાંનો જ છે. આઝાદી બાદ ભારતમાં પુસ્તકોનું મહત્ત્વ વધ્યું છે, પણ તેનો મોટો ભાગ પાઠ્યપુસ્તકોનો છે. આપણી વસ્તીનો માત્ર બે ટકા ભાગ વિદ્યાર્થીઓનો છે અને તેમ છતાં આજે 50 ટકા પુસ્તકો તેમના માટે છપાય છે. પુસ્તક પ્રકાશન આજે વ્યવસાય બની ગયો છે. નફો રળવા નિમ્નકક્ષાનું સાહિત્ય વધુ વેચાઈ રહ્યું છે. પુસ્તકોની કક્ષા હવે ઉતરતી જાય છે... આજે સારાં પુસ્તકો છપાય છે, પણ તેમની સંખ્યા ખૂબ ઓછી છે, જે આજે ચિંતાનો વિષય છે.

- હિતેશ સોંડાગર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વ્યાપ્તિ, શક્તિ અને રીતિ


  • સંઘની રચનામાં ‘પાવર હાઉસ’ સમાન શાખાઓનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાંથી પ્રવાહિત થતી ઊર્જાથી હાલ સમાજ-જીવનનાં અનેકાનેક ક્ષેત્રો ઝળહળી રહ્યાં છે. એક મૂળભૂત સંકલ્પ્ના હંમેશા યાદ રાખવી જોઈએ કે સંઘ સંપૂર્ણપણે સામાજિક સંગઠન છે. કોઈપણ સમાજ ક્યારેય પણ એકસૂરી હોઈ શકે જ નહિ, એટલે કે સમાજજીવનમાં વિવિધ ક્ષેત્રો હોય છે અને રાજનીતિ પણ તેમાંનું એક ક્ષેત્ર છે.
  • 27 ડિસેમ્બર, 2011થી 2012 સુધી પુણેમાં ‘વનવાસી રમતોત્સવ’નું આયોજન વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું,
  • કોઈપણ સંસ્થા રમત મહોત્સવનું આયોજન કરી શકે છે, પરંતુ આ રમત મહોત્સવમાં સંઘની એક ખાસ વિશેષતા પ્રગટ થાય છે. આ મહોત્સવ દરમિયાન પુણેના 1300 પરિવારોએ આ ખેલાડીઓને પોતાના ઘરેથી ભોજન લાવી જમાડી આત્મીય ભાઈચારાનો પરિચય કરાવ્યો હતો.
  • 32 દેશોમાં હિન્દુ સ્વયંસેવક સંઘની 528 શાખાઓ ચાલે છે. અમેરિકામાં 140 અને ઇંગ્લન્ડમાં 70 શાખાઓ છે.
  • આપણો દેશ, આપણું રાષ્ટ્ર અને આપણો સમાજ મજબૂત બને, પરસ્પર સામંજસ્ય અને સહયોગ થકી સંવાદ કરતો થાય, રાષ્ટ્રીયતાનું વાતાવરણ બધાની વચ્ચે સર્જાય તેવો પ્રયાસ જ સંઘના કાર્યકર્તાનો એકમાત્ર આશય છે.
  • આ સંઘના કાર્યકર્તાઓનો સ્વભાવ જ બની ગયો છે. ‘હું નહીં તું’’ એ જ બાબત સંઘકાર્યકર્તાઓ માટે આદર્શ છે .
  • સમગ્ર સમાજને પ્રેમપૂર્વક પોતાની ભુજાઓમાં ભરી સંઘે તેની વ્યાપ્તિ વધારી છે અને એ જ સંઘની શક્તિનું સુદ્ઢ અધિષ્ઠાન છે, માત્ર બુદ્ધિગ્રાહ્ય તત્ત્વજ્ઞાન નહિ.
સંઘ, એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. મહાકવિ કાલિદાસના શબ્દોમાં કહીએ તો આ એક  અસામાન્ય સંસ્થા છે, કારણ કે આજે આપણા દેશમાં સંઘ સિવાય પણ અનેક સંગઠનો કામ કરી રહ્યાં છે, પરંતુ સંઘ એ તમામ સંગઠનોથી સાવ અલગ જ તરી આવે છે. કાવ્યાલંકારોમાં આવતાં ‘અનન્વય’ અલંકારની જેમ સંઘની સરખામણી માત્ર તેની પોતાની સાથે જ થઈ શકે છે, અન્ય કોઈની સાથે નહિ. આ પ્રકારનું અનન્યત્વ મતલબ અદ્વિતીયત્વને સૂચિત કરનાર આ અલંકાર છે. ઉ.દા.
ગગનંગગનાકારં સાગર: સાગરોપમ:
રામરાવણયોર્યુદ્ધં રામરાવણયોરિવ॥
એટલે કે આકાશ આકાશ જ છે. સમુદ્ર સમુદ્ર જ છે અને રામ-રાવણ યુદ્ધ એ રામ-રાવણ યુદ્ધ છે - અનન્ય અદ્વિતીય.
અનન્યત્વ
સંઘનો વિસ્તાર કેટલો વ્યાપક છે તે બતાવતાં કોઈ પણ સંઘની શાખાઓ કેટલી અને એ શાખાઓ ભારતનાં કેટલાં સ્થાનો પર લાગે છે એ જ કહેશે, અને એ બરાબર પણ છે. તાજેતરમાં જ સંઘની જે અખિલ ભારતીય પ્રતિનિધિસભાનું સમાપ્ન થયું તેમાં પ્રાપ્ત આંકડા મુજબ 27997 સ્થાનો પર સંઘની 40891 શાખાઓ લાગે છે એટલે કે આ શાખાઓ દૈનિક રીતે ચાલે છે. આમાં અઠવાડિયામાં એક વાર કે મહિનામાં એક વાર મળનારી શાખાઓની વાત કરીએ તો આવી 15,000 શાખાઓ ચાલી રહી છે. 55891 સ્થાનો પર સંઘના સ્વયંસેવકો નિત્ય ધોરણે એકત્રિત થાય છે. હિન્દુસ્થાન અને વિશ્ર્વભરમાં સંઘ જ  એકમાત્ર એવી સંસ્થા છે જેના છ લાખ કાર્યકર્તા દૈનિક ધોરણે એકત્રિત થાય છે.
મૌલિક સંકલ્પ્ના
પરંતુ આ શાખા, સંઘની સંપૂર્ણ વ્યાપ્તિ નથી, પાવર હાઉસ એટલે કે ઊર્જા પેદા કરવાનું યંત્ર માત્ર છે અને આ ઊર્જાનું વિતરણ કરવા માટે પાવર હાઉસને સક્ષમ, સમર્થ અને નિત્ય સિદ્ધ થવું પણ એટલું જ જરૂરી છે, ત્યારે જ તો આપણાં ઘરોમાં આ ઊર્જા સંચાલિત ટ્યૂબ-ગોળા પ્રકાશિત થઈ શકશે. માટે જ સંઘની રચનામાં ‘પાવર હાઉસ’ સમાન આ શાખાઓનું ખૂબ જ મહત્ત્વ છે. તેમાંથી પ્રવાહિત થતી ઊર્જાથી હાલ સમાજ-જીવનનાં અનેકાનેક ક્ષેત્ર ઝળહળી રહ્યાં છે. અહીં એક મૂળભૂત સંકલ્પ્ના હંમેશા યાદ રાખવી જોઈએ કે સંઘ સંપૂર્ણપણે સામાજિક સંગઠન છે. કોઈપણ સમાજ ક્યારેય પણ એકસૂરી હોઈ શકે જ નહિ. એટલે કે સમાજજીવનમાં વિવિધ ક્ષેત્રો હોય છે અને રાજનીતિ પણ તેમાંનું એક ક્ષેત્ર છે. ધર્મ, શિક્ષણ, ઉદ્યોગ, ખેતી, કારખાનાં વગેરે દરેક ક્ષેત્રમાં પણ અનેક પેટાવિભાગો હોય છે, આમાં શિક્ષણક્ષેત્રના વિદ્યાર્થીઓ પણ આવી જાય છે અને સંસ્થાઓ પણ આવી જાય છે અને શિક્ષકો પણ આવી જાય છે, સંચાલકો પણ આવી જાય છે. ઉદ્યોગક્ષેત્રમાં ઉદ્યોગપતિઓ સાથે મજદૂર પણ આવી જાય છે. સંઘના પાવર હાઉસમાંથી ઊર્જા લઈ સંઘના સ્વયંસેવકોએ આ તમામ ક્ષેત્રે પોતપોતાની યોગ્યતા ભરપૂર પ્રમાણમાં પ્રકાશિત કરી છે. કોઈ એને આનુષંગિક સંગઠન કહે છે, કોઈ વિવિધ ગતિવિધિ માત્ર માને છે, તો કોઈ સંઘ પરિવાર કહે છે. આ તમામ શબ્દોમાંથી કોઈપણ શબ્દોનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેના મૂળ ઊર્જાસ્રોતનુંં ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.
સંઘની વ્યાપ્તિ
અ.ભા. પ્રતિનિધિ સભામાં જેમણે પોતાનું વૃત-નિવેદન કર્યંુ હોય એવી સંસ્થાઓની સંખ્યા 35 હતી. લોકોને માત્ર ભાજપ અને વિહિપ જ દેખાય છે, પરંતુ તેઓ પોતાની દ્ષ્ટિને જરા વિસ્તારશે તો તેઓને વનવાસી કલ્યાણ આશ્રમ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, વિદ્યાર્થી પરિષદ, ભારતીય મજદૂર સંઘ અને સ્વદેશી જાગરણ મંચ પણ નજર સમક્ષ આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય શીખસંગત, સેવાભારતી, વિદ્યાભારતી, સીમાજાગરણ, પૂર્વ સૈનિક પરિષદ, ઇતિહાસ સંકલન સમિતિ, પ્રજ્ઞાપ્રવાહ અને જેના નામના અંતમાં ભારતી શબ્દ આવે છે તે સંસ્કૃત ભારતી, સહકાર ભારતી, આરોગ્ય ભારતી, લઘુઉદ્યોગ ભારતી, ક્રીડાભારતી તો લોકોને યાદ જ હશે ને! જેમને આ સંસ્થાઓ વિશે ખબર નથી તેવા નેત્રહીનોને નેત્રપૂર્તિ કરવા સક્ષમ, સ્વદેશી વિજ્ઞાન, સાહિત્ય પરિષદ, સામાજિક સમરસતા મંચ અને વિશેષ રીતે આઈસીસીએસ તો યાદ હોવી જ જોઈએ.
આઈસીસીએસ
શું છે આ આઈસીસીએસ? આઈસીસીએસ એટલે કે ‘ઇન્ટરનેશનલ સેન્ટર ફાર કલ્ચરલ સ્ટડીઝ.’ તાજેતરમાં જ 4થી 7 માર્ચ, 2012 દરમિયાન આ સંસ્થાનું હરિદ્વાર ખાતે સંમેલન થયું હતું. જેમણે ઈસાઈમતના પ્રસાર પહેલાંની પોતાની સંસ્કૃતિ આજે પણ સાચવી રાખી છે એવી 50 સાંસ્કૃતિક પરંપરાઓના 400 જેટલા પ્રતિનિધિઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. તેમાં ન્યુઝીલેન્ડના માઓરી હતા, અમેરિકાના ‘કેમાપ્ન’ અને ‘નવ્જો’ હતા. યુરોપમાં જેઓને ‘પેગન’ એટલે કે નક્લી દેવતાઓની પૂજા કરનારા કહીને ધુત્કારવામાં આવે છે તેઓ પણ હતા. 2002માં દિલ્હીમાં આવા સમૂહના એક લેખક ફ્રેડરિક લેમન્ડને મળવાનું થયું હતું. તેઓએ મને તેમનું ‘રિલીજિયન વિધાઉટ બીલીફ’ નામનું પુસ્તક ભેટમાં આપ્યું હતું. ઓસ્ટ્રિયા નિવાસી એવા ફ્રેડરિક, વિશ્ર્વભરમાં પથરાયેલી આવી સાંસ્કૃતિક - પરંપરાઓનું રક્ષણ અને સંવર્ધન કરવાના સંઘના કામથી ખૂબ જ પ્રભાવિત છે. તેઓ આ તમામ સંસ્કૃતિઓ અને હિન્દુ સંસ્કૃતિમાં સામ્ય હોવાનું પણ કહે છે. આ પણ સંઘનો એક વિશ્ર્વવિક્રમ જ છે.
સંઘની રીત
અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના નામથી તો લોકો પરિચિત છે જ. દેશના વનવાસી વિસ્તારોમાં આ સંસ્થા દ્વારા અનેક એકલ વિદ્યાલય ચલાવવામાં આવી રહ્યાં છે, વિહિપ અને વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ એકલ વિદ્યાલયો ચલાવવામાં આવી રહ્યાં છે, પરંતુ આ તમામમાં વનવાસી કલ્યાણ આશ્રમનું કામ સૌથી વધુ છે. આજે વનવાસી કલ્યાણ આશ્રમના પ્રયાસો થકી ઈસાઈ મિશનરીઓના ધર્માંતર પર જોરદાર લગામ લાગી છે.
ઈશાન ભારતનાં અરુણાચલ, મેઘાલય, અસમ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર જેવાં નાનાં નાનાં રાજ્યોની અનેક જનજાતિઓ વસવાટ કરે છે. તેઓની પોતાની કેટલીક આગવી વિશેષતાઓ પણ છે, તો કેટલુંક સામ્ય પણ છે. આ સમાનતાઓને આધારે તેમણે માત્ર પોતાની પરંપરાઓને બચાવી રાખવા માટે જ પોતાની આગવી સંસ્થા બનાવી છે અને વિક્રમસિંહ જમાતિયા આ સંસ્થાના નેતા છે. આ બધું વનવાસી કલ્યાણ આશ્રમના માધ્યમથી શક્ય બન્યું છે. 1 ડિસેમ્બર, 2011ના રોજ અરુણાચલના બ્રપુત્રા નદીના કિનારા પરના પાસીઘાટ પર ‘દોન્પીપોલો’ એટલે કે (ચંદ્ર અને સૂર્ય) ‘એલામ કેબાંગ’ એટલે કે પારંપરિક ધર્મ સંસ્કૃતિ સંગઠન સંસ્થાના રજતજયંતી સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કલ્યાણ આશ્રમના અધ્યક્ષ જગદેવરાય ઉરાંવ અને અરુણાચલના મુખ્યમંત્રી નાબમ તુકિ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ છે વનવાસી કલ્યાણ આશ્રમની વ્યાપ્તિ.
27 ડિસેમ્બર, 2011થી 2012 સુધી પુણેમાં ‘વનવાસી રમતોત્સવ’નું આયોજન પણ વનવાસી કલ્યાણ આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 2038 ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં 725 મહિલા ખેલાડીઓ પણ હતી.  દેશનાં 24 રાજ્યોમાંથી ખેલાડીઓ આવ્યા હતા. કેટલાક લોકો કહેશે કે એમાં શી નવાઈ? કોઈપણ સંસ્થા રમત મહોત્સવનું આયોજન કરી શકે છે, પરંતુ આ રમત મહોત્સવમાં સંઘની એક ખાસ વિશેષતા પ્રગટ થાય છે. આ મહોત્સવ દરમિયાન પુણેના 1300 પરિવારોએ આ ખેલાડીઓને પોતાના ઘરેથી ભોજન લાવી, જમાડી આત્મીય ભાઈચારાનો પરિચય કરાવ્યો હતો.
વિશ્ર્વવિભાગ
આ લેખમાં આગળ વિશ્ર્વવિભાગનો ઉલ્લેખ આવે જ છે. 32 દેશોમાં હિન્દુ સ્વયંસેવક સંઘની 528 શાખાઓ ચાલે છે. અમેરિકામાં 140 અને ઇંગ્લન્ડમાં 70 શાખાઓ ચાલે છે. ગત જાન્યુઆરી માસ દરમિયાન અમેરિકામાં રા.સ્વ. સંઘ દ્વારા સામૂહિક સૂર્યનમસ્કાર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 13191 લોકોએ ભાગ લીધો હતો અને 10 લાખ 78 હજાર 842 સૂર્યનમસ્કાર કર્યા હતા. અમેરિકાના એક રાજ્યના ગવર્નર, બે સાંસદ સહિત 20 શહેરોના મેયરો દ્વારા અધિકૃત પરિપત્ર દ્વારા આ યજ્ઞને પુરસ્કૃત કરવામાં આવ્યો હતો. સંઘના નામમાં રાષ્ટ્રીય શબ્દ છે, પરંતુ તેનો વિચાર અને સંગઠન આંતર્રાષ્ટ્રીય બની ગયું છે.
સીમા જાગરણ
સીમા જાગરણ નામના સંગઠનનો પણ આગળ ઉલ્લેખ કર્યો છે. આપણા દેશની સીમા દુશ્મન દેશોના કારણે ખતરામાં છે. તેની રક્ષા માટે આપણું સૈન્ય અને સૈનિકો સજ્જ છે જ, પરંતુ સાથે સાથે તે પ્રદેશોની જનતા પણ સજ્જ છે. સૈનિકો સાથે સ્નેહબંધન અને જનતામાં ધૈર્યબંધનનું કામ સીમા જાગરણ મંચ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ગતવર્ષે 500 સરહદી ચોકીઓમાં 13 હજાર જવાનોને રાખડીઓ બાંધવામાં આવી હતી. આ સ્નેહબંધન સમારોહમાં 2500 પુરુષ અને 1800 મહિલાઓએ ભાગ લીધો હતો. દેશના સૈન્યમાં ભરતી થવા માટે આ મંચ દ્વારા યુવકોને પ્રેરિત કરવાની સાથે પ્રશિક્ષણ પણ આપવામાં આવે છે. પંજાબ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન સીમા પર દર વર્ષે સેના ભરતી કોચિંગ કેમ્પ્નું આયોજન કરવામાં આવે છે. લોકોમાં જાગૃતિ આવે અને એ જાગૃતિ કાયમ રહે એટલા માટે સીમા સુરક્ષા ચેતના યાત્રા પણ કાઢવામાં આવે છે. ગયા નવેમ્બર મહિનાની 15થી 25 તારીખ દરમિયાન આવી બે યાત્રાઓ નીકળી હતી. એક જમ્મુ-કાશ્મીરના પૂંચ પ્રદેશથી નીકળી તો બીજી કચ્છના નારાયણ સરોવર ખાતેથી અને 25 નવેમ્બરના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના ‘ખાજવાલા’માં બંને યાત્રાનો સંગમ થયો હતો. આ યાત્રાઓએ ત્રણ હજાર કિ.મી.નું અંતર ખેડ્યું હતું. તે દરમિયાન 61 સીમા સુરક્ષા સંમેલનોનું આયોજન થયું હતું. બે હજાર ગામોમાં ગ્રામસભાનું આયોજન થયું હતું અને ત્રણસોથી વધુ શાળાઓમાં પ્રદર્શની દ્વારા બાળકોમાં સીમા સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં ક્યારેય પણ આપણી સીમાઓને સંકોચાવા નહિ જ દઈએ એવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. દેશની સાગરસીમા પર પણ નક્કર કામ ચાલી રહ્યું છે. પશ્ર્ચિમ અને પૂર્વ સાગરકિનારાના 62 જિલ્લામાંથી કુલ 46 જિલ્લાઓમાં સીમા જાગરણનું કામ ચાલી રહ્યું છે.
માત્ર દેશને ખાતર
સંઘના કાર્યકર્તાઓએ શાખાના પાવર હાઉસમાંથી ઊર્જા મેળવી સમાજજીવનનાં જે અનેકાનેક ક્ષેત્રોને પ્રકાશમાન કર્યાં છે તે તમામનો સમગ્ર પરચિય આપવો હોય તો એક મોટો ગ્રંથ બને. પરંતુ સંઘપ્રેરિત કાર્યો પ્રચારના ભરોસે  ચાલતાં નથી. પ્રસિદ્ધિની વાત તો જવા દો, પોતાના પ્રાણની પણ પરવા કર્યા વગર સંઘના કાર્યકર્તા પોતાના સેવાના ક્ષેત્રમાં અડગ બનીને ઊભા છે. શું કામ? અને કોને માટે, મંત્રીપદ મેળવવા માટે કે પછી મીડિયામાં છવાઈ જવા માટે? ના... તેઓની આવી કોઈ  પણ વ્યક્તિગત આકાંક્ષાઓ નથી. આપણો દેશ, આપણું રાષ્ટ્ર અને આપણો સમાજ મજબૂત બને, પરસ્પર સામંજસ્ય અને સહયોગ થકી સંવાદ કરતો થાય, રાષ્ટ્રીયતાનું વાતાવરણ બધાની વચ્ચે સર્જાય તેવો પ્રયાસ જ સંઘના કાર્યકર્તાનો એકમાત્ર આશય છે. આ નિ:સ્વાર્થ સેવામાં ઈશ્ર્વરનો સાથ અને આશીર્વાદ મળે  છે, તેથી, તેને માત્ર ને માત્ર સફળતા જ મળે છે. આ બધું સંઘશક્તિના પરિણામે છે. ઘોર સંઘવિરોધી કાઁગ્રેસી નેતા દિગ્વિજયસિંહ પણ કહે છે કે સંઘ પર પ્રતિબંધ લગાવવો શક્ય નથી. આવું કહેવા પાછળનો તેઓનો ઉદેશ્ય શો હોઈ શકે તેની ખબર નથી, પરંતુ આ વાત બિલકુલ સાચી છે. શું સંપૂર્ણ હિન્દુસમાજ પર પ્રતિબંધ લગાવવો શક્ય છે? જો ના, તો સંઘ પર પણ પ્રતિબંધ લગાવવો અશક્ય છે.
અનુશાસનનું રહસ્ય
સંઘની એક આગવી રીત પણ છે. અનુશાસન સંઘની મુખ્ય વિશેષતા છે અને સંઘમાં સર્વવ્યાપ્ત છે, પરંતુ તેના માટે સંઘમાં સજાની જોગવાઈ નથી. હું જ્યારે સંઘનો પ્રવક્તા હતો ત્યારે એક વિદેશી પત્રકારે મને સંઘના અનુશાસનના રહસ્ય અંગે પ્રશ્ર્ન કર્યો હતો. ત્યારે મેં જવાબ આપ્યો હતો કે અમારે ત્યાં અનુશાસનનો ભંગ કરવા બદલ દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ જ નથી, કદાચ એ પણ આનું કારણ હોઈ શકે. તે પત્રકાર મારા એ જવાબને કેટલો સમજી શક્યો હશે એની તો મને ખબર નથી, પરંતુ હું એક જૂની વાત જણાવું. 1952-53 દરમિયાન સંઘે ગૌહત્યા બંધી માટે હસ્તાક્ષર એકત્રિત કર્યા હતા. તે સમયે અનેક ગૌભક્તો તત્કાલીન સરસંઘચાલક શ્રી ગુરુજીને મળવા માટે આવતા હતા. એક દિવસ લાલા હરદેવ સહાય સાથે એક સાધુ પણ આવ્યા હતા. તેઓએ ગુરુજીને કહ્યું કે એક એવો આદેશ આપો કે સંઘનો કોઈપણ સ્વયંસેવક પોતાના ઘરે ડાલડા ઘી નહિ રાખે. તે સમયે ડાલડા ઘી બજારમાં નવું નવું જ આવ્યું હતું. ગુરુજીએ કહ્યું, આ રીતે આદેશો આપવા એ સંઘની પદ્ધતિ નથી. તે સાધુએ આશ્ર્ચર્ય સાથે પૂછ્યું, તમે શું કહી રહ્યા છો. હું તો જ્યાં જાઉં છું ત્યાં મને જવાબ મળે છે કે, સંઘનો આદેશ હશે તો અમે આ કરીશું. ગુરુજીએ કહ્યું, આવી આજ્ઞા કરવા માટે અમારી પાસે કઈ દંડશક્તિ (સત્તા) છે? કોઈ સ્વયંસેવક એ આજ્ઞાનું પાલન ન કરે ત્યારે કઈ કલમને આધારે તેને સજા કરીશું? ત્યારે સાધુએ પૂછ્યું કે તો પછી સંઘમાં આટલું બધું અનુશાસન ક્યાંથી આવે છે? ગુરુજીએ કહ્યું, અમે નિત્ય સંઘસ્થાન પર એકત્રિત થઈએ છીએ. અમારી ઢબે કબ્બડ્ડી જેવી રમતો રમીએ છીએ. તેના થકી જ અનુશાસન નિર્માણ થાય છે. ગુરુજીની આ વાત સાથે જ પેલા સાધુના તમામ પ્રશ્ર્નોનું સમાધાન થઈ ગયું. આની સાથે એક બીજું કારણ પણ જોડવું છે અને તે છે સંઘના શ્રેષ્ઠ અધિકારીઓનું વર્તન. એક સામાન્ય મુખ્ય શિક્ષક ‘દક્ષ’ બોલતાંની સાથે જ સરસંઘચાલકથી માંડી તમામ મોટા શ્રેષ્ઠીઓ અધિકારીઓ પગ જોડી સીધા ઊભા રહી જાય છે. તેઓ શિબિરોમાં તમામની સાથે જ રહે છે, બધા જે ભોજન લે છે તે જ તે પણ લે છે. સૌની જેમ જ ગણવેશ પહેરે છે. આચરણના આ સર્વસાધારણત્વને કારણે અહીં એક અલગ જ વાતાવરણનું નિર્માણ થાય છે, જેને સમતા કહેવામાં આવે છે, તેને કારણે આપોઆપ અનુશાસન આવે છે અને આ અનુશાસન સ્વયંસ્વીકૃત અનુશાસન હોય છે. સંઘના આ અનુશાસનને કારણે સંઘને કેટલાક લોકો ફાસિસ્ટ તરીકે જુએ છે એ હાસ્યાસ્પદ છે, કારણ કે સંઘમાં આ અનુશાસન આવ્યું છે તે દંડને કારણે નહિ આપોઆપ આવ્યું છે. કાર્યક્રમ શરૂ થશે તો તેના નિયત સમયે જ, કેટલાય લોકોને મોડા આવવામાં પોતાની પ્રતિષ્ઠા દેખાય છે, પરંતુ સંઘમાં વાતાવરણ સાવ અલગ જ હોય છે. આટલા મોટા સંગઠનમાં ક્યારેય અનુશાસનનો ભંગ થયો નહિ હોય એવું પણ નહિ હોય, પરંતુ ક્યારેય અનુશાસનના ભંગને લઈને કોઈના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોય તેવું સાંભળ્યું છે ? ના... કારણ કે આ અનુશાસન સ્વયંસ્વીકૃત છે, અને  એ  પદ્ધતિ  સંઘની  રીત છે.
સંઘકાર્યવાહની ચૂંટણી
ગત 17 તારીખે સંઘના સરકાર્યવાહની ચૂંટણી થઈ હતી. સામાન્ય રીતે ચૂંટણીઓ દરમિયાન અન્ય સંગઠનોમાં પદ માટે સંભવિત  ઉમેદવારોના નામની ચર્ચા, કોણ પાછળ-કોણ આગળ એવું ગરમાગરમ વાતાવરણ હોય છે, પરંતુ સંઘમાં વાતાવરણ તદ્દન અલગ જ હોય છે. પોતાનાં ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતાં શ્રી ભૈયાજી જોશી એક નાનકડું નિવેદન કરીને બધાનો આભાર માનીને મંચ પરથી નીચે ઊતર્યા. ત્યારબાદ પશ્ર્ચિમ ક્ષેત્રના સંઘચાલક અને વિખ્યાત ડા. શ્રી અશોકજી કુકડેને નિર્વાચન અધિકારી તરીકે ઘોષિત કરવામાં આવ્યા. તેમણે બંધારણની જોગવાઈઓનો ઉલ્લેખ કરી સરકાર્યવાહના પદ માટે નામ સૂચવવા કહ્યું. દિલ્હીના ડા. બજરંગલાલ ગુપ્ત દ્વારા શ્રી ભૈયાજી જોશીનું નામ સૂચવવામાં આવ્યું. કેરળના શ્રી મોહન અને બંગાળના શ્રી રણેન્દ્રનાથ બંદોપાધ્યાયે તેમનું સમર્થન કર્યું. ત્યારબાદ નિર્વાચન અધિકારીએ અન્ય નામ આવવાની રાહ જોઈ, પરંતુ અન્ય કોઈનું નામ ન આવ્યું. ત્યારબાદ તેઓએ ભૈયાજી જોશીની અગામી 3 વર્ષ સુધી સરકાર્યવાહક તરીકે નિમણૂક થઈ ગઈ હોવાની ઘોષણા કરી હતી. ભૈયાજી મંચ પર આવ્યા. સરસંઘચાલકજીએ તેમને હાર પહેરાવ્યો અને કાર્યક્રમ  પૂરો  થયો.
ત્યારબાદ ભૂતપૂર્વ સરસંઘચાલક શ્રી સુદર્શનજીએ, તૃતીય સરસંઘચાલક શ્રી બાળાસાહેબ દેવરસજીએ પોતાના વિશે કહેલી એક રસપ્રદ વાત કહી. એક વ્યક્તિ ટ્રેનમાંથી રેલવે સ્ટેશન પર ઊતરતો હતો. પરંતુ તે વિચિત્ર રીતે ડબ્બા તરફ મોં રાખી ઊતરી રહ્યો હતો. સ્ટેશન પર ખૂબ જ ભીડ હતી, અને બધા જ મુસાફરો ટ્રેનમાં ચડી જવા ઉતાવળા હતા. લોકોને લાગ્યું કે એ વ્યક્તિ ઊતરનાર નહીં ચડનાર છે, માટે લોકો તેને અંદરની તરફ ધકેલી રહ્યા હતા. છેવટે ગાડી ઊપડી ગઈ. પેલો અંદર ને અંદર જ રહ્યો. બાળાસાહેબે કહ્યું હતું કે આવી જ કંઈક હાલત મારી પણ છે. દરેક વ્યક્તિ મને અંદરની બાજુ ધકેલી રહ્યો છે જ્યારે મારે બહાર નીકળવું છે. સુદર્શનજીનો આ રમૂજી ટૂચકો સાંભળી તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. ત્યારબાદ સહસરકાર્યવાહ શ્રી સુરેશજી સોનીએ એનાથી પણ વધુ કમાલની વાત કરી. તેમણે કહ્યું કે ટ્રેનમાંથી ઊતરનાર એ માણસ અતિશય જાડો હોવાના કારણે ટ્રેન તરફ મોં રાખીને ઊતરી રહ્યો હતો, જેને કારણે અનિચ્છાએ પણ ટ્રેનમાં પાછો ધકેલાઈ ગયો. પણ ભૈયાજી જોશી તો બિલકુલ જાડા નથી. અમારે તમામને તેઓ સરકાર્યવાહક તરીકે જોઈએ છે, માટે તેમની પસંદગી કરવામાં આવી  છે.
સંઘમાં આવું જ હોય છે. આ સંઘના કાર્યકર્તાઓનો સ્વભાવ બની ગયો છે. ‘હું નહીં તું’’ આ જ બાબત સંઘકાર્યકર્તાઓ માટે આદર્શ છે અને આ આદર્શને અનુકૂળ  સંઘની સીધી, સરળ અને સ્નેહાળ કાર્યપદ્ધતિ બની છે, જે સંઘની સૌથી મોટી તાકાત છે. સમગ્ર સમાજને પ્રેમપૂર્વક પોતાની ભુજાઓમાં ભરી સંઘે તેની વ્યાપ્તિ વધારી છે અને એ જ સંઘની શક્તિનું સુદ્ઢ અધિષ્ઠાન છે, માત્ર બુદ્ધિગ્રાહ્ય  તત્ત્વજ્ઞાન  નહિ.
-  મા. ગો વૈદ્ય

Apr 21, 2012

સાચો હિતૈષી : સ્પષ્ટવક્તા


એક લોકકથાના બે યુવાનો કમાવા માટે પરદેશ જતા હતા. બેમાંથી એક પ્રામાણિક, બીજો શઠ. એક નગરમાં શેઠ લક્ષ્મીદાસની જાહોજલાલી જોઈને જોઈને પેલો શઠ સીધો શેઠાણી પાસે પહોંચી ગયો. એ ભલી બાઈને મીઠી વાણીથી ભરમાવીને, દૂર દૂરનું સગપણ કાઢ્યું અને તેમની ભલામણથી શેઠને ત્યાં રહી પડ્યો.
પ્રામાણિક યુવાને શેઠની રજા માંગી. તારે કામ નથી જોઈતું ? જવાબમાં તેણે કહ્યું કે જુઠ્ઠું બોલીને કંઈ ન જોઈએ. આપે જેને રાખ્યો છે, એ આપ્ના શ્ર્વસુર પક્ષનો નથી, ઠગ છે. એણે બધી વાત કરી, અને ગયો. આખરે શઠનો ભાંડો ફૂટ્યો. એને મારીને કાઢી મૂક્યો, અને મજૂરી કરતા પ્રામાણિક યુવાનને હિસાબનીશ બનાવ્યો, છેવટે જમાઈ બનાવ્યો.
પંચતંત્રનું સુભાષિત એને સમર્થન આપે છે.
प्रियं वा यदि वा द्वेष्यं
शुभं वा यदि वाऽशुभम् ।
अस्पृष्टोऽपि हितं बूयात्
यस्य नेच्छेत पराभवम् ॥ (પંચતંત્ર)
જેનું અહિત ન ઇચ્છતા હોઈએ તે પોતે ન પૂછે તો પણ ગમતી કે અણગમતી, સારી કે ખરાબ વાત સ્પષ્ટ શબ્દોમાં કહેવી જોઈએ. એ જ સાચો હિતૈષી છે.

Apr 14, 2012

સંસ્કારી નિરભિમાની જીવનનો આદર્શ


એક નગરના મોટા શેઠ. બહોળો વેપાર. સજ્જન માણસ. સાવ નિર્ધન અવસ્થામાંથી સ્વ-બુદ્ધિથી જમાવટ કરેલી. નોકરચાકર, ગ્રાહકો, સગાસંબંધી સૌની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર. એમનો દીકરો, લાડકોડમાં ઊછર્યો. પાણી માગે ત્યાં દૂધ મળે. કોઈનું નિયંત્રણ નહિ. તેથી ઉચ્છૃંખલ બની ગયો.
જવાબદારી આવતાં સુધરશે એ આશાથી તેને પેઢીએ બેસાડ્યો. જવાનીનું જોશ, તેમાં માલિકીની સત્તા ભળી, ધનની તો કોઈ ખોટ નહોતી. પરિણામે, જૂના ધંધાની અંદરની વાતો જાણનારા સેવકો-મુનીમ વગેરેનું અપમાન કરે, કેટલાકને કાઢી મૂક્યા, કેટલાક જતા રહ્યા. જુગારના - સટ્ટાના રવાડે ચડીને ભારે ખોટ કરી. યૌવન, સત્તા, ધન અને વિવેકહીન વ્યવહારે પેઢીને ડુબાડી.
આ બાબત સમજાવતું હિતોપદેશનું એક સુભાષિત છે :
यौवनं धनसंपत्तिः
प्रभुत्वं अविवेकिता।
एकैकमपि अनर्थाय
किमु यत्र चतुष्टयम्।
યૌવન, ધનસંપત્તિ, સત્તા અને વિવેકહીનતા પૈકી એકનો અતિરેક પણ અનર્થ સર્જનારો છે, તો, આ ચારે ભેગાં થાય ત્યારે કેટલો અનર્થ સર્જાય?
આવા નબીરાની રંજાડનાં ઉદાહરણો આજે શોધવાં પડે તેમ નથી. બાપ્ના ઊંચા હોદ્દાનો દુરુપયોગ પણ સામાન્ય છે. નિયંત્રિત યૌવન, સંપત્તિનો દુર્વ્યય નહિ,  સત્તાનું અભિમાન નહિ અને વિવેકી વ્યવહારનો કોઈ વિકલ્પ નથી.

Apr 8, 2012

ઊંચું આસન શ્રેષ્ઠત્વ ન આપે


સ્વ. દત્તોપંત ઠેંગડીજીએ એક પ્રવચનમાં ઉદાહરણ આપેલું કે નેપાલિયન સર્વસત્તાધીશ બન્યા પછી બદલાઈ ગયો હતો, અહંકારી બની ગયો હતો. તે કહેતો કે પદના આધારે જ શ્રેષ્ઠતા મપાય. તે 11111નું ઉદાહરણ આપીને કહેતો કે તેમાં છેલ્લે આવેલા એકડાની કિંમત એક છે, પછીનાની દસ અને સૌથી પહેલા એકડાની કિંમત દસ હજાર છે. એના સ્થાનને કારણે એનું ઉચ્ચ મૂલ્ય છે.
આવી જ વાત ભારતના એક સંતને કહેતાં તેમણે કહ્યું કે એ ભ્રમ છે. ભારતની સંકલ્પ્ના જુદી જ છે. તેમણે નીચેનું સુભાષિત કહીને આ સંકલ્પ્ના સમજાવી :
उच्चासन गतो नीचः
नीच एव न चोत्तमः।
प्रासादशिखरस्थोऽपि
काको न गरुडायते॥
ઊંચા આસને બેસવાથી નીચ માણસ ઉત્તમ નથી બનતો. કાગડો મહાલયના સુવર્ણકળશ પર બેસે તો પણ ગરુડ નથી કહેવાતો. આજ આવી અનુભૂતિ થાય છે? કાગડાને ઓળખીએ અને દૂર કરીએ.

Apr 2, 2012

લૂલીને વશ રાખો


કોઈ એક દરદી એક ડાક્ટર પાસે દવા લેવા પહોંચ્યો. તે હાંફતો હતો.
ડાક્ટરે તેની તપાસ કરી અને હાંફવાનું કારણ પૂછ્યું. દરદીએ કહ્યું, હું દવાખાને આવતો હતો ત્યાં રસ્તામાં બે જણ ઝઘડતા હતા. મેં તેમને ન ઝઘડવાની ઘણી સલાહ આપી પણ તે ન માન્યા અને બંને જણ મારી પાછળ પડ્યા. હું રસ્તો બદલી ઝડપથી ચાલતો દવાખાને આવ્યો એટલે હાંફી ગયો.
ડાક્ટરે કહ્યું, ‘તમારે બે દિવસ સાવ એકાંતમાં આરામની જરૂર છે. દવાની નહિ.’
‘પણ ડાક્ટર સાહેબ, દવા વિના આ હાંફ કેવી રીતે મટે?’
‘જુઓ, ડાક્ટર બોલ્યા, ‘તમારે માત્ર આરામની જરૂર છે. આરામ એ જ તમારી દવા છે.’
‘પણ...’
દરદીને બોલતો અટકાવી ડાક્ટર બોલ્યા, ‘તમે એકાંતમાં આરામ કરશો એટલે જીભને પણ આરામ મળશે, પરિણામે તમારી હાંફ મટી જશે.’