Oct 25, 2016

સાચી શ્રદ્ધા

ચોમાસું પૂર્ણ થવા આવ્યું હતું. છતાં વરસાદનું એક ટીપું પણ વરસ્યું ન હતું. ખેતરો, વાડી, બગીચા સુક્કાભટ્ટ થઈ ગયાં હતાં. ત્યારે નગરવાસીઓમાં ચિંતા પેઠી. જ્યારે કોઈ જ વિકલ્પ નથી બચતો ત્યારે મનુષ્ય ઈશ્ર્વરને યાદ કરે છે. અહીં પણ એવું જ થયું. નગરના તમામ લોકો ભજન કરવા નગરના મુખ્ય મંદિરે એકઠાં થયાં. આ તમામમાં એક બાળક પણ હતો. પોતાની નાની છત્રી સાથે આવેલા આ બાળકને જોઈ નગરજનોને આશ્ર્ચર્ય થયું. લોકોએ ટીખળ કરી. બિચારો તાપથી બચવા છત્રી લઈને આવ્યો હશે. આ સાંભળી બાળક બોલ્યો. કેમ, આપણે બધા અહીં વરસાદ આવે એટલા માટે ભગવાનને પ્રાર્થના કરવા ભેગા થયા છીએને, તો પછી વરસાદ આવશે તો પલળી નહીં જવાય ? પ્રાર્થના કરીશું અને વરસાદ નહીં આવે તેવી જરાઅમથી શંકા પણ આ બાળકના મનમાં ન હતી. પ્રાર્થના પૂર્ણ થતાં તો આકાશ કાળાં ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું અને મુશળધાર વરસાદ ટૂટી પડ્યો. પોતાની નાની છત્રી ખોલી બાળક નાનાં નાનાં ડગ માંડતો પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. વરસાદ અહીં એકત્રિત થયેલી ભીડની પ્રાર્થનાને કારણે થયો કે કેમ એની તો ખબર નહીં પરંતુ એટલું જરૂર કે એ ભીડમાં ઈશ્ર્વર પર સાચી શ્રદ્ધા રાખનારો એક બાળક પણ હતો.

Oct 17, 2016

યુદ્ધનીતિ

ખૂબ સમય પહેલાંની વાત છે. એક રાજ્યમાં મહાન યોદ્ધો રહેતો હતો. સદાય અપરાજેય આ યોદ્ધો કોઈને પણ હરાવવાનું કૌવત જાણતો હતો. એક દિવસ બાજુના રાજ્યનો ઈર્ષાથી બળતો એક યોદ્ધો તેને હરાવવા માટે આવ્યો. તે શક્તિશાળી હોવાની સાથે સાથે ષડયંત્રકારી પણ હતો. તે પોતાના દુશ્મનોને વારંવાર અપમાનિત કરતો અને તેની કમજોરી જાણી તેના પર વારંવાર પ્રહાર કરતો. તેણે મહાન યોદ્ધાને યુદ્ધ માટે લલકાર્યો. ધમકીઓ આપી લોકોને લાગ્યું કે આ વખતે આપણો યોદ્ધો હારી જશે. પોતાના વિરોધીઓની ટીકાની પરવાહ કર્યા વગર યોદ્ધાએ તેનો પડકાર સ્વીકાર કર્યો. હવે બન્ને યોદ્ધા સામસામે હતા. પોતાની ધૃષ્ટતા મુજબ પેલાએ વીર યોદ્ધા પર માટી ફેંકી, ચહેરા પર થૂંક્યો અને ખૂબ ગાળો ભાંડવા માંડી. જેટલી રીતોથી વીર યોદ્ધાને અપમાનિત કરી શકાય તે તમામ અપનાવી પરંતુ વીર યોદ્ધો ઠરેલ હતો. શાંતચિત્ત, એકાગ્ર અને અડગ હતો અને પેલાના પ્રહારની રાહ જોઈ રહ્યો હતો. અનેક ઉશ્કેરણી છતાં પણ પેલો યોદ્ધો જ્યારે ઉશ્કેરાયો નહીં ત્યારે પેલાને તેની હાર નિશ્ર્ચિત લાગી અને તને હું જોઈ લઈશ કહી ભાગી ગયો. તેના વિરોધીઓ સાથે શુભચિંતકો પણ વીર યોદ્ધાએ પેલાને જવા જ કેમ દીધો કહી નારાજ થયા અને સવાલ કર્યો કે તમે એ ગુસ્તાખને જવા જ કેમ દીધો ? રણમેદાનમાં મસળી કેમ ન કાઢ્યો ? તેણે તમારું આટલું બધું અપમાન કર્યું, છતાં તમે એને ભાગી જવાનો મોકો આપ્યો, વીર યોદ્ધાનો જવાબ હતો, તે મને ઉશ્કેરી મારી કમજોરી જાણવા માંગતો હતો. મેં ન ઉશ્કેરાઈ તેને માત્ર મેદાનમાં જ નહીં રણનૈતિક ક્ષેત્રે પણ ધૂળ ચાટતો કરી દીધો છે. અપમાન પણ પ્યાલામાં ભરેલા દા રૂ જેવું હોય છે. તે તમને ત્યારે જ નુકસાન પહોંચાડી શકે છે જ્યારે તમે તેનો સ્વીકાર કરો છો.

Oct 1, 2016

મુક્તિનો મારગ



એક શેઠ દૈનિક સત્સંગમાં જતા. તેમના ઘરે પાંજરામાં કેદ પાલતું પોપટ પણ હતો. એક દિવસ એ પોપટે તેમને કહ્યું, માલિક, "તમે દરરોજ સત્સંગમાં જઈ જ્ઞાન મેળવો છો. તો એકાદ જ્ઞાનની વાત મને પણ શીખવોને ! શેઠે જવાબ વાળ્યો, જ્ઞાન તો કાંઈ આમ ઘરે બેઠાં અને પાંજરામાં મળતું હશે ? તેના માટે આશ્રમમાં ગુરુજી પાસે સત્સંગ કરવો પડે. કાંઈ વાંધો નહીં, તો તમે મારું એક કામ કરજો. આજે પાછા ફરતી વખતે મહાત્માજીને પૂછજો કે મારી મુક્તિ ક્યારે થશે. સત્સંગ પૂરો થતાં પેલા શેઠે મહાત્માજીને તેના પાલતું પોપટ અંગે વાત કરી અને તેની મુક્તિ અંગે પૂછ્યું. આ સાંભળી પેલા મહાત્મા બેભાન થઈ ગયા. શેઠ પરત ઘરે આવ્યા અને તેમના પોપટને કહ્યું, તારાં નસીબ જ ખરાબ છે. મેં તારી મુક્તિ વિશે મહાત્માને પૂછ્યું અને તે જવાબ આપે તે પહેલાં જ બેભાન થઈ ગયા. બીજા દિવસે સમય મુજબ શેઠ સત્સંગે જવા નીકળતા જ હતા ત્યાં પેલો પોપટ અચાનક પાંજરામાં ઢળી પડ્યો. શેઠે વિચાર્યંુ કે તે મૃત પામ્યો છે. તેને પાંજરામાંથી બહાર કાઢ્યો કે તરત જ પોપટ ઊડી ગયો. મહાત્માજીએ શેઠને તેના પાલતુ પોપટ અંગે પૂછતાં શેઠે મહાત્માજીને પોપટના ઢોંગ કરી ઊડી જવાની ઘટના કહી. મહાત્માથી મૂછમાં મલક્યા અને શેઠને કહ્યું, તમે દરરોજ મારા સત્સંગમાં આવો છો, છતાં આજદિન સુધી સંસારના મોહમાયાના પિંજરામાં કેદ છો, જ્યારે તમારો પાલતુ પોપટ અહીં આવ્યા વગર જ મારો એક ઇશારો સમજી મુક્તિના માર્ગને પામી ગયો.
જ્ઞાન એ સતત સત્સંગ કરવાથી કે મહાપુરુષોના સાંનિધ્યમાં રહેવા માત્રથી જ પ્રાપ્ત થતું નથી. મહાપુરુષો આપણને ઇશારા-ઇશારામાં જ મુક્તિ અને જ્ઞાનનો માર્ગ બતાવી દેતા હોય છે. તેને પારખી શકનારો ક્ષમતાવાન માણસ જ જ્ઞાન અને મુક્તિ મેળવી શકે છે.