May 11, 2017

સુંદરતા અંગે ચાણક્યનો વિચાર



સમ્રાટ ચન્દ્રગુપ્ત દેખાવે ખૂબ જ સુંદર અને ગોરા હતા. જ્યારે ચાણક્ય કાળા અને કુરૂ‚પ. એક દિવસ બન્ને વચ્ચે નીતિ સંબંધિત ચર્ચા ચાલી રહી હતી. ચન્દ્રગુપ્ત ચાણક્યના કોઈ જ પ્રશ્ર્નનો સંતોષકારક જવાબ આપી શકતા ન હતા, માટે તેઓએ અચાનક ચર્ચાનો વિષય બદલતાં કહ્યું, રાજ્યના તમામ લોકો તમારી વિદ્વતાના કાયલ છે. જો ખાલી ભગવાને તમને થોડું ‚રૂપ આપ્યું હોત તો વિશ્ર્વમાં તમારો કોઈ જ વિકલ્પ ન હોત. ચાણક્ય સમજી ગયા કે ચન્દ્રગુપ્તને પોતાની સુંદરતાનું અભિમાન થઈ ગયું છે. તેનો જવાબ ચાણક્યએ વિચારી કાઢ્યો. ચન્દ્રગુપ્ત હંમેશાં સોનાના પ્યલામાં જ પાણી પીતા. ચાણક્યે સેવકને માટીના ગ્લાસ અને સોનાના પ્યાલામાં પાણી લાવવાનું કહ્યું. ચન્દ્રગુપ્તને તરસ લાગતાં તેને માટીના પ્યાલામાં પાણી અપાયું. પાણી પીધા બાદ ચન્દ્રગુપ્તે પુછ્યું આજે પાણીનો સ્વાદ આટલો અલગ કેમ છે ? ચાણક્યે કહ્યું, માફી મહારાજ, ભૂલથી આજે તમને પાણી માટીના પ્યાલામાં આપી દેવાયું છે અને તરત જ સુવર્ણપ્યાલો ધર્યો. ચન્દ્રગુપ્તે તે પણ પીધું. ચાણક્યે પૂછ્યું, રાજન, આ બન્ને પ્યાલામાંથી તમને કયા પ્યાલાનું પાણી વધારે પસંદ આવ્યું ? માટીના પ્યાલાવાળું વધારે ઠંડું અને મીઠું લાગ્યું, હવેથી મારે માટે પાણી માટીના વાસણમાં જ લાવવું, ચન્દ્રગુપ્તે આદેશ આપ્યો.
ચાણક્યે હસીને કહ્યું, રાજન, જે રીતે પ્યાલાની સુંદરતા પાણીને ઠંડું અને મીઠું બનાવી શકતી નથી તેવી જ રીતે શરીરની સુંદરતાથી કોઈ વ્યક્તિ જ્ઞાની અને વિદ્વાન બની જતો નથી. સુંદરતા કે કુ‚રૂપતાથી જ્ઞાનનું માપ કાઢવું યોગ્ય નથી. ચન્દ્રગુપ્ત ચાણક્યનો ઇશારો સમજી ગયા. તેઓએ તત્કાળ ચાણક્યની માફી માંગી

જેવું બોલશો તેવા દેખાશો

એક દિવસ મહારાજ વિક્રમાદિત્ય પોતાના સૈનિકો અને મંત્રી સાથે શિકાર માટે ગયા. શિકારની શોધમાં તમામ એકબીજાથી વિખૂટા પડી ગયા. ત્યારે જંગલમાં એક ઝાડની છાયામાં બેઠેલા અંધ સાધુને વિક્રમાદિત્યે પૂછ્યું, ‘સાધુ મહારાજ ! શું અહીંથી હાલમાં કોઈ માણસ પસાર થયો છે ?’ પેલો સંઘ સાધુએ જવાબ આપ્યો, ‘મહારાજ, સૌપ્રથમ તો અહીંથી તમારો સેવક નીકળ્યો હતો, ત્યાર બાદ તમારો સેનાનાયક અને બાદમાં તમારા મંત્રી હમણાં જ અહીંથી ગયા. અંધ સાધુના જવાબથી વિક્રમાદિત્યે આશ્ર્ચર્ય સાથે પૂછ્યું, ‘મહારાજ, આપ તો અંધ છો, છતાં તમે એ લોકોને કેવી રીતે કહી શકો કે, પહેલાં મારો સેવક, ત્યાર બાદ નાયક, મંત્રી અને હમણાં જ પસાર થયા છે, અને હું તેમનો રાજા છું ? પેલા સાધુએ કહ્યું, ‘મહારાજ, મેં એ ત્રણેયની વાણી અને તમારી વાણી સાંભળી, સૌ પ્રથમ તમારા સેવકે આવી મને પૂછ્યું, એય આંધળા, અહીંથી કોઈ પસાર થયું છે ખરું ? થોડા સમય બાદ તમારા નાયકે આવી પૂછ્યું, સુરદાસ, અહીંથી કોઈ નીકળ્યું છે ? તેની પાછળ જ આવેલા તમારા મંત્રીએ પૂછ્યું, સુરદાસજી, અહીંથી કોઈ નીકળ્યું છે ખરું ? અને અંતમાં તમે સ્વયં આવીને કહ્યું, ‘સાધુ મહારાજ, અહીંથી હમણાં કોઈ મુસાફર પસાર થયો છે ? મહારાજ, વ્યક્તિની વાણી જ તેના સંસ્કાર, પદ અને પ્રતિષ્ઠાની ઓળખ આપી દેતી હોય છે.’