Dec 19, 2012

જો ફલ કારન સેવા કરે

કરે ન મન સે કામકહે કબીર સેવક નહીં,
ચાહે ચૌગુના દામ ॥


જે લોકો ફળને કારણે સેવા કરે અને મનથી કામ ન કરે, સંત કબીર તેને સેવક નથી કહેતા. ભલે તેને ચાર ગણા દામ મળતા હોય. જે લોકો ફળના કારણે સેવા કરે તેમાં સેવાનો ભાવ નહીં, પણ સ્વાર્થનો ભાવ હોય છે. મને આ સેવા કરવાથી અમુક પ્રકારના લાભ મળશે, એવી લાલચથી પ્રેરાઈને જે લોકો સેવા કરવા આવે છે તે સેવક નથી. સેવા તો એક એવી સાધના છે જેમાં નિ:સ્વાર્થભાવે કાર્ય કરવાનું હોય છે. સેવાના બદલામાં શું મળશે તેવો ભાવ ન હોય તે જ સેવા કહેવાય. અહીં સંત કબીરનું કહેવાનું તાત્પર્ય એ છે કે સેવામાં પામવાની ઝંખના નથી હોતી. સેવામાં આપવાનો જ ભાવ સમાયેલો હોય છે. સેવામાં સ્વનો વિચાર નથી હોતો. સેવામાં સમર્પણનો ભાવ હોય છે. કંઈ ન પામવાના ભાવ સાથે સેવા કરવામાં આવે છે. તેમાં જે આત્મિક સુખ, શાંતિ અને તૃપ્તિ મળે છે તે કદાચ લાલચ સાથે કરવામાં આવતી સેવામાં નથી મળતું. જો કોઈપણ શરત વગર સામેવાળાના દર્દ, તકલીફને ઓછું કરવા માટે ભાવ સંવેદનથી જે કાર્ય કરવામાં આવે છે તેને જે સેવા કહેવામાં આવે છે અને તે જ સાચો સેવક છે. ભાવથી કરવામાં આવતી સેવાથી પરમ સુખ મળે છે અને કશું જ માંગ્યા વગર આવી બિનશરતી સેવાનું ફળ પણ શુભ જ મળે છે.