Mar 26, 2012

ક્યારેક જૂઠાણું પણ સત્યથી મહાન બની જાય છે


એક વખત એક રાજાએ એક કેદીને મૃત્યુદંડની સજા ફરમાવી.
ઉશ્કેરાયેલા કેદીએ રાજાને ન કહેવાય એવી ગંદી ગાળો દીધી.
આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો.
અન્ય કામમાં પરોવાયેલા રાજાનું ધ્યાન કેદી તરફ ન હતું. તે શું બોલ્યો એ જાણવા તેમણે મહામંત્રી સામે પ્રશ્ર્નસૂચક નજરે જોયું.
મહામંત્રીએ કહ્યું, ‘મહારાજ, કેદી કહે છે કે જે ક્ષમા આપી શકે છે તેની ઉપર ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે.’
રાજા આ સાંભળી અત્યંત રાજી થયો અને કહ્યું, ‘હું કેદીને ક્ષમા આપું છું. તેને મુક્ત કરી દ્યો.’
પાસે ઊભેલા મંત્રીને આ ન ગમ્યું. તે બોલ્યા, ‘મહારાજ, તે કેદી તો આપ્ને ગંદી ગાળો દેતો હતો. મહામંત્રીએ આપ્ને જૂઠું કહ્યું.’
રાજાએ મંત્રીને કહ્યું, ‘આપ્ની સાચી વાત કરતાં મહામંત્રીની જૂઠી વાત મને વધુ ગમી, કારણ તેમની જૂઠી વાતમાં પણ કેદીની ભલાઈ ડોકાતી હતી અને આપ્ની સાચી વાતમાં પણ મને આપ્ની ઈર્ષ્યા અને દ્વેષની દુર્ગંધ આવી.’
દરબાર શાંત હતો.
મુક્તિ પામેલા કેદીએ રાજાને સાષ્ટાંગ પ્રણિપાત કર્યા અને હવેથી ક્યારેય ગુનો ન કરવાની  પ્રતિજ્ઞા  લીધી.

Mar 22, 2012

‘હા પસ્તાવો વિપુલ ઝરણું’ - કલાપી


મહાન કવિ કલાપી
ગુજરાતના કવિ કલાપીનું ગુજરાતની પ્રજાને બહુ મોટું પ્રદાન છે. ગુજરાતની પ્રજા તેમનાં અમર કાવ્યોના અમર શબ્દો માટે હંમેશા ઋણી રહેશે. કલાપી એક સંવેદનશીલ અને કોમળ હૃદય ધરાવનારા કવિ થઈ ગયા... જોકે ખરેખર તો એ જ કવિ કહેવાય. કલાપી કેટલાક અમર ઉદ્ગારોનો વારસો કવિતારૂપે આપણા માટે મૂકતા ગયા છે. અંગ્રેજ કવિ શેલીએ લખ્યું છે, ‘કાવ્ય એ ઉત્તમ મનની ઉત્તમ ક્ષણોની ઉત્તમ નોંધ છે.’ આ વાત કલાપીની પંક્તિઓને પણ સંપૂર્ણપણે લાગુ પડે છે. કવિનું સમાજ પર મોટું ઋણ છે કારણ કે તે માણસને ઢંઢોળે છે, હચમચાવી મૂકે છે, જાગ્રત કરે છે. તેની સંવેદના તેના શબ્દો થકી અનેક હૃદયો સુધી પહોંચે છે. કવિ હંમેશા કાલાતીત હોય છે. તેના શબ્દો શાશ્ર્વત હોય છે. કલાપીની આવી જ બે પંક્તિઓ જોઈએ...
હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
પસ્તાવો એ હૃદયના ઊંડાણમાંથી જન્મેલી શ્રેષ્ઠ વૃત્તિ છે. જીવનમાં ભૂલો કોણ નથી કરતું? ભૂલો કરવી એ માનવ હોવાની નિશાની છે. પ્રશ્ર્ન એ છે કે પોતે કરેલી ભૂલનો પસ્તાવો કેટલાને થાય છે? માણસને જ્યારે ભૂલનો પસ્તાવો થાય ત્યારે તે સામાન્ય માણસ મટીને સંત બની જાય છે. ચોર, લૂંટારાને પણ ભૂલ થયા પછી પસ્તાવો થયો અને તે લૂંટારામાંથી સંત બની ગયાનાં ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો છે.
ભૂલ કરવી ખોટું નથી... તે સહજ છે, પરંતુ તેનો પસ્તાવો ન થવો તે ખોટું છે. માણસનો અહંકાર તેને તેની ભૂલનો સ્વીકાર કરવા દેતો નથી. ભૂલનો સ્વીકાર જ ન હોય ત્યાં પસ્તાવાની તો વાત જ ક્યાં આવી? ભ્રષ્ટાચારમાં ડૂબેલા રાજકારણીઓના ચહેરાઓ જુઓ તો જણાઈ આવશે કે તે ચહેરાઓ પર પસ્તાવાનું કોઈ ચિહ્ન નથી. તેઓ કોઈ પરાક્રમ કર્યું હોય તે રીતે ફરતા હોય છે. પસ્તાવાનો અભાવ માણસને પશુતુલ્ય અવસ્થામાં જ રાખે છે.
પસ્તાવો સાધારણ અને અસાધારણ વચ્ચેનો તફાવત છે. ભૂલ કરનારો સામાન્ય માણસ પસ્તાવા પછી અસાધારણ બની જાય છે. તેથી અહીં પસ્તાવાને ઝરણું કહ્યું છે. ઝરણું શીતલ હોય છે, આહ્લાદક હોય છે અને પ્રસન્ન કરનારું હોય છે. ઝરણા પાસે ઘડીભર બેસવાનું મન થાય છે. ઝરણું આકર્ષક હોવાથી પશુ, પંખી, માનવ... બધાં તેની પાસે ખેંચાઈને આવે છે. આપણને ભૂલ કરનાર પ્રત્યે ભલે નફરત હોય પરંતુ પોતાની ભૂલનો પસ્તાવો કરનાર ગમવા માંડે છે. પસ્તાવો ભૂલની અસરને ધોઈને પુણ્યના માર્ગે લઈ જાય છે. પસ્તાવો ઉપરની ઉડાનનું લોંચિંગ પડ છે. પસ્તાવામાં પડેલી દિવ્ય શક્તિના કારણે કવિ કહે છે કે તે સ્વર્ગથી ઊતરેલુ ઝરણું છે. ઝરણાનો સ્વભાવ પથ્થરને અવગણવાનો અને તોડવાનો છે. દૈવી સંકેતથી પ્રાપ્ત થયેલ પસ્તાવારૂપી ઝરણું ભૂલરૂપી પથ્થરને ભાંગીને આગળ વધે છે. પસ્તાવો એ આંતરિક પરિવર્તનની સૂક્ષ્મ પ્રક્રિયા છે. તે ડંખ, કટુતા, ઘા... ને દૂર કરીને પ્રેમનું મધુર સામ્રાજ્ય સ્થાપે છે. તેથી કવિ કહે છે ‘પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’ પાપ અને પુણ્યનો અર્થ અહીં વ્યાપક રીતે લેવાનો છે. પાપ એટલે અશુદ્ધિ અને પુણ્ય એટલે શુદ્ધિ. પસ્તાવારૂપી રસાયણ અશુદ્ધ મનને શુદ્ધ બનાવે છે.
કશેક વાંચેલ એક વાક્યનું સ્મરણ થાય છે કે ‘પાપ અને પુણ્યનો જાહેરમાં જો એકરાર કરવામાં આવે તો બંને બળી જાય છે’ (મોટાભાગે શ્રી હીરાભાઈ ઠક્કરનું આ વાક્ય છે). માણસ બધાની વચ્ચે પોતાની ભૂલ કબૂલ કરે તો જાણે-અજાણે તે માફ થઈ જાય છે. પસ્તાવારૂપી ન્યાયાધીશ તમને તમારી ભૂલ માટે પણ નિર્દોષ જાહેર કરીને છોડી દે છે, જો તમે કબૂલ કરો તો.
મોટા ભાગે ભૂલનો સ્વીકાર તો નથી જ, વધારામાં તેને છાવરવાના પ્રયાસો કરવામાં આવે છે. એક ભૂલને છુપાવવા બીજી અનેક ભૂલો કરવા માણસ તૈયાર થઈ જાય છે. જેનામાં નૈતિક હિંમત હોય તે જ ભૂલ કબૂલ કરી શકે.
પતિ-પત્ની, શિક્ષક-વિદ્યાર્થી, અધિકારી-કર્મચારી શેઠ-નોકર પ્રમાણિકતાપૂર્વક ભૂલનો સ્વીકાર કરે તો અરસપરસ પ્રેમનો સેતુ બંધાય, સંબંધોની ગુણવત્તા સુધરે.
આજનું મેડિકલ સાયન્સ પણ પ્રેમ, દય, ક્ષમા, પસ્તાવો જેવાં લક્ષણોને ઔષધિ કે ઉપચાર તરીકે સ્વીકારે છે. બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદયરોગ... જેવામાં તેનાથી રાહત મળે છે.
એકવાર એક શાપિંગ મોલ પાસે એક જગ્યાએ હું મારું સ્કૂટર પાર્ક કરવા જતો હતો. તેવામાં સિક્યુરિટીવાળો આવ્યો અને જોરથી બૂમો પાડીને કહેવા લાગ્યો, ‘સા’બ યહાં સ્કૂટર નહીં રખનેકા. જરા તો સમજો!’ મેં તેને હસીને કહ્યું, ‘માફ કરના, આપકી બાત સચ હૈ. દૂસરે લોગોંકો આનેજાનેમેં તકલીફ હોતી હૈ.’ મારા આશ્ર્ચર્યની વચ્ચે પેલો એટલો બધો ખુશ થઈ ગયો અને કહેવા લાગ્યો ‘હાં સા’બ, ઇસલિયે બોલના પડતા હૈ.’ તેણે પોતે મારું સ્કૂટર પાર્ક કરી આપ્યું.
ભૂલ કબૂલ કરવી, પસ્તાવો જાહેર કરવો એક જાદુ છે. ભલભલાને પિગળાવી દેનારુ તે જાદુઈ ઝરણું છે.

- અરુણ યાર્દી

Mar 21, 2012

સંપૂર્ણ સ્વાસ્થ્યની ગુરુચાવી... - હિતેશ સોંડાગર


  • તમારે સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવું છે?
  • તમારા મેડિકલ બિલને ઝીરો કરવું છે?
  • તમારા શરીરને તાજગીથી ભરી દેવું છે?
  • તમારે સ્વચ્છ-સુઘડ-તંદુરસ્ત શરીરના માલિક બનવું છે?
  • કંટાળો, આળસ, બગાસાને તેમજ દરરોજ લેવાતી પેઇન કિલર ટેબલેટને તમારે તમારા જીવનમાંથી તીલાંજલિ આપી દેવી છે?
  • તમારે સંપૂર્ણ સ્વાસ્થ્ય મેળવવું છે?
  • જો જવાબ હા હોય તો અનુસરો આ કેટલીક સામાન્ય બાબતોને!
તંદુરસ્તીનો ગુરુમંત્ર
  • નિયમિત ઊંઘવું અને ઉઠવું...
  • નિયમિત યોગ્ય આહાર
  • નિયમિત માત્ર 30 મિનિટની  હળવી કસરત
  • અને મનની શાંતિ માટે  નિયમિત ધ્યાન
શું તમે તંદુરસ્ત છો?
cover-story.jpgતંદુરસ્ત વ્યક્તિને સવાર-સાંજ કકડીને ભૂખ લાગે છે. તંદુરસ્ત વ્યક્તિને પથારીમાં સૂતાં જ ઊંઘ આવી જાય છે. તંદુરસ્ત વ્યક્તિ સવારે ઊઠતાં જ ભરપૂર તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરે છે. તંદુરસ્ત વ્યક્તિને દરરોજ યોગ્ય સમયે કુદરતી હાજત થાય છે. તંદુરસ્ત વ્યક્તિમાં ગરમી અને ઠંડી સહન કરવાની ક્ષમતા હોય છે. તંદુરસ્ત વ્યક્તિને શારીરિક શ્રમ બદલ વધુ થાકનો અનુભવ થતો નથી.
ઉપર મુજબનો અનુભવ તમને થતો હોય તો તમે સંપૂર્ણ સ્વસ્થ છો નહિ તો...? યાદ રાખો ‘સ્વસ્થ શરીર, તેજ દિમાગ અને શક્તિશાળી મન જ તંદુરસ્તીની વ્યાખ્યા છે. જો આ વ્યાખ્યામાં તમે ફીટ ન બેસતા હો તો ‘ફીટ’ થવા તૈયાર થઈ જાવ...
રાત્રે આઠ કલાકની ઊંઘ પછી સવારે ઊઠતા વેંત આપણી સારવારની સમસ્યા અફઘાન યુદ્ધ, કાશ્મીર હિંસા, બેકારી, મોંઘવારી, લૂંટ-ફાટ-ખૂન છે કે પછી બીપીની ગોળી, અસ્થમાનો પંપ, પેઇન ક્લિર, આળસ, શરીર તૂટવાની સમસ્યા વગેરે છે. આપણી ગંભીર સમસ્યા તો આપણી નાદુરસ્ત તબિયતની છે. આતંકવાદ કરતાં વધારે ચિંતા આપણે આપણા આરોગ્યવાદની કરવાની જરૂર છે. આજે અર્થશાસ્ત્ર નહિ પણ આરોગ્યશાસ્ત્રને વધુ મહત્ત્વ આપવાની જરૂર છે. આપણા જીવનનો આજે જે રિયલ પ્રશ્ર્ન છે તે આપણી હેલ્થનો છે.
21મી સદી માહિતીની સાથે સાથે ફ્ટિનેસની પણ છે. પણ તેમ છતાં ફિટનેસ, તંદુરસ્તીના વિષયની આપણે અવગણના જ કરી છે. આજે ખરેખર તો શાળામાં માહિતીની સાથે સાથે આરોગ્યશાસ્ત્ર ભણાવવાની જરૂર છે. તંદુરસ્તી હશે તો માહિતી મેળવવાને લાયક રહેશો. પહેલું સુખ તે જાતે નર્યા. આ યુગમાં તમે ગમે તેટલા ઇન્ટેલીજન્સ હશો પણ તમારી પાસે સમયસૂચકતા નહિ હોય, તમે જમાનાથી કદમથી કદમ નહિ મીલાવી શકતા હો તો તમે તરત જગતની આ હરીફાઈમાંથી દૂર ફેંકાઈ જશો. જો તમારે હરીફાઈની આ દુનિયામાં હંમેશાં અવ્વલ રહેવું હશે તો તમારે બુદ્ધિની સાથે સાથે તંદુરસ્તી, ફ્ટિનેસની પણ જરૂર પડશે જ! આજે દુનિયા હેલ્થ પ્રત્યે જાગ્રત થઈ છે પણ તંદુરસ્તીને તે હજુ સમજી શકી નથી. હોલીવૂડ-બોલીવૂડના હીરોએ આપણી સામે જે ફિટનેસ મૂકી છે તેને જ આપણે તંદુરસ્તી સમજીએ છીએ. શું ફિટનેસ એટલે બાવડેબાજ સલમાનખાન, સંજય દત્ત જેવું ગઠ્ઠાદાર શરીર? ના ખરેખર આ ફિટનેસ નથી! ફિટનેસ તંદુરસ્તી એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય. ફ્ટિનેશનો ખરો અર્થ સમજાવતાં લેખક મુકુંદ મહેતા પોતાના એક લેખમાં લખે છે કે ‘અમેરિકન કાઉન્સિલ આફ ફિઝીકલ ફિટનેસ એન્ડ સ્પોટ્ર્સના ચેરમેનના જણાવ્યા પ્રમાણે ‘જ્યારે તમે તમારા આખા દિવસનું કામ - ગૃહિણી હોય કે નોકરિયાત વ્યક્તિ, વેપારી હોય કે કાલેજીયન સંપૂર્ણ શક્તિથી કંટાળા કે થાક્યા વગર કરો અને છતાં તમારી પાસે કોઈ નવું ઓચિંતું કામ આવી પડે ભલે પછી તે શારીરિક કે માનસિક હોય, તે તમે સ્વસ્થ મને કરી શકો, તેને કરવામાં તમને થાક કે કંટાળો ન આવે, તો તેને ખરી તંદુરસ્તી કહી શકાય. સંપૂર્ણ તંદુરસ્ત વ્યક્તિની શારીરિક ક્ષમતા ખૂબ જ ઊંચી હોય છે અને સ્ટ્રેસ લેવલ નહીંવત હોય છે. આ ભાગ-દોડના જમાનામાં આવા તંદુરસ્ત માણસો તમને મળી જ રહેશે! આ લોકો એવું તો શું કરે છે કે તે હંમેશાં તંદુરસ્ત, ચુસ્ત રહે છે. બસ! એમની થોડી સારી આદતો તેમને તંદુરસ્ત બનાવે છે. આ સારી આદતો કઈ છે તે જાણો છો? નિયમિત ઊંઘવું, નિયમિત ઊઠવું, યોગ્ય આહાર, થોડી કસરત અને થોડું ધ્યાન... શું આ સારી આદતોમાંથી તમે બે ચાર પણ ગ્રહણ કરી લેશો તો નક્કી તમારી તંદુરસ્તીમાં ગજબનાક ફેર આવશે. આવો થોડું વધુ જાણીએ.
આજે દરેક વ્યક્તિને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવવું છે. તંદુરસ્ત જીવન જીવવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ પણ ખબર છે. પણ તેમ છતાં આપણે જાણતા-અજાણ બનીને એ બધું જ કરીએ છીએ જે આપણી આજીવન શારીરિક તંદુરસ્તીની બિલકુલ વિરુદ્ધ હોય. તંદુરસ્તી બગડે એટલે ઝડપથી સ્વસ્થ થવા આપણે તંદુરસ્તી મેળવવાના શોર્ટક્ટ રસ્તાઓ અપ્નાવીએ છીએ. અને સરવાળે આપણને આ શોર્ટક્ટ રસ્તાઓમાંથી પરિણામ ‘શૂન્ય’ જ મળે છે. આપણે એક વાતને હંમેશાં માટે યાદ રાખી લેવી જોઈએ કે તંદુરસ્તી એટલે કે સંપૂર્ણ સ્વાસ્થ્ય એટલે કે આજીવન રોગરહિત જિંદગી અને તે જીવનભર રહે તેવી દુનિયામાં કોઈ દવા બની જ નથી અને બનશે પણ નહિ, જો આવી કોઈ દવા બજારમાં મળતી હોય તો લાખ્ખો રૂપિયા આપીને તે ખરીદવાવાળા આ જગતમાં પડ્યા છે. એક વાત નક્કી છે કે તંદુરસ્તી બજારમાં મળતી નથી. તંદુરસ્તી તમારા વિચાર-આહાર-વ્યવહારમાં તમારી પાસે જ છે. તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરીને તમે તે ઘરે જ મેળવી શકો છો. જો તમારે આજીવન શારીરિક તંદુરસ્તી મેળવવી હોય તો તેના કોઈ શોર્ટક્ટ નથી. માત્ર તમારી દિનચર્યામાં થોડા ફેરફાર કરો નિયમિત સૂવો અને ઊઠો, થોડું આહાર તરફ ધ્યાન આપો. થોડી કસરત અને થોડું ધ્યાન બસ આમાં જ છે સંપૂર્ણ સ્વાસ્થ્યની ગુરુચાવી...
ઊંઘવામાં અને ઊઠવામાં નિયમિતતા કેળવો
રાત્રે વહેલા સૂઈને વહેલા ઉઠે વીર,
બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર.
આ બે લીટીની ઉક્તિમાં આપણા સંપૂર્ણ સ્વસ્થ શારીરિક જીવનનો સાર છુપાયેલો છે. આપણા ઋષિમુનિઓથી લઈને આપણા વડવાઓ સુધી બધા જ આપણને વહેલાં સૂર્યોદય પહેલાં ઊઠવાનું કહે છે. ઇન્ટરનેટ પર ગુગલ સર્ચ એન્જિનમાં તમે ‘સવારે વહેલા ઊઠવાનું કારણ’ શોધી જોજો. ગણતરીની સેકન્ડમાં એક લાખ કરતાં વધારે કારણો તમને મળી જશે. વહેલા ઊઠવાનાં કારણો આપતી, સમજાવતી એમેજેન નામની બુક વિતરણ કરતી સંસ્થા પાસે 6600 પુસ્તકો છે. વહેલા ઊઠવાના ફાયદાઓ વિશે આજે અનેક પુસ્તકો બજારમાં છે. વહેલા ઉઠવાના અને ઊંઘવાના ફાયદા દર્શાવતાં અનેક પુસ્તકો 20,000થી પણ વધુ કારણો આપતી પુસ્તકો આપણને સહેલાઈથી મળી રહેશે. તમે વિચાર કરો કે વહેલા ઊઠવાનું કંઈક તો કારણ, ફાયદો હશે જ ને!
9 - 9 કલાકની ઊંઘ લીધા પછી પણ તમે જ્યારે સવારે નવ વાગે ઊઠો છો ત્યારે તમને જરા પણ તાજગી, સ્ફૂર્તિ અનુભવાય છે? નહિ ને! નાહીને ફ્રેશ થયા પછી પણ તમારી આંખમાં બધાને ઊંઘ જ દેખાય છે ને! શરીર માટે 24 કલાકમાં માત્ર 7થી 8 કલાકની ઊંઘ પૂરતી છે. પણ તેમ છતાં આજે આપણને નવ-નવ કલાકની ઊંઘ અપૂરતી લાગે છે! આવું કેમ? આની પાછળનું કારણ છે આપણી ઊંઘવા અને ઉઠવાની અનિયમિતતા! રાત્રે દસ વાગે સૂઈ જવું અને સવારે સૂર્યોદય પહેલા ઊઠી જવું! આ ટેવ પાળી જુવો. એક વાર તમને ટેવ પડી ગઈ પછી તમારી દરેક સવાર સ્ફૂર્તિવાળી બની રહેશે. સવારે નવ-નવ કલાકની ઊંઘ લીધા પછી આજે તમારું શરીર દર્દથી તૂટતું હશે પણ પછી તમને એવું નહિ લાગે. તમે ક્યારેય નહિ અનુભવી હોય તેવી સ્ફૂર્તિ, તાજગી તમે અનુભવશો. ઊંઘવા અને ઊઠવાની નિયમિતતાના ફાયદા છે.
આહાર ખૂબ ચાવવો
આજે આપણે ખાવા માટે જીવીએ છીએ કે જીવવા માટે ખાઈએ છીએ. આજે આપણે કોઈ ધર્મ કે સરકાર નહિ પણ આપણો ડાયેટ - આહાર બદલવાની જરૂર છે. 21મી સદીના બગડેલા પર્યાવરણ અને શહેરની ભાગદોડની જિંદગીમાં આપણને યોગ્ય આહાર જ તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બનશે. માણસ પ્રાણીમાંથી માણસ બન્યો અને તેની બધી જ કુદરતી શક્તિઓ હણાઈ ગઈ. જંગલમાં રહેતાં પ્રાણીઓ માંદા પડે તો તે શું કરતાં હશે? તે વિચાર્યંુ છે કદી ? આપણી શેરીમાં ફરતા કૂતરાની જ વાત લ્યો. તેને તાવ આવતો હોય અથવા થોડું બીમાર જેવું તમને લાગતું હોય ત્યારે તેને ખાવાનું આપજો. તે નહિ ખાય. પ્રાણીઓ બીમાર પડે એટલે પહેલાં ખાવાનું બંધ કરી દે. થોડા દિવસમાં તે દવા વગર સાજું થઈ જાય છે. અને આપણે માંદા પડીએ તો શું કરીએ છીએ. અશક્તિ, નબળાઈ આવી ગઈ છે એમ કહી કહી માત્ર ખા-ખા જ કરીએ છીએ. આપણે સમજવું જોઈએ કે આપણે કેટલું ખાઈએ છીએ તે મહત્ત્વનું નથી પણ તે ખોરાકમાંથી આપણા શરીરને કેટલું પોષણ મળે છે તે મહત્ત્વનું છે. બાકી ગોટા, સમોસા, ભજિયાં ખાવાથી માત્ર આપણી ભૂખ મટે છે અને મળ વધે છે.
આજે જંકફૂડની બોલબાલા છે. જે માત્ર ને માત્ર આપણું પેટ બગાડે છે, બસ! પણ આપણને અમેરિકાના આ નકામાં જંકફૂડની હવે ટેવ પડી ગઈ છે. અમેરિકનો જાગ્રત થઈને હવે જંકફૂડને સ્વીકારતા નથી પણ આપણે હવે જંકફૂડની પાછળ પડી  ગયા છીએ. હકીકત તો એ છે કે જંકફૂડને પચાવવાની મજબૂત હોજરી જ આપણી પાસે રહી નથી. ચરબીવાળા, તેલવાળા પદાર્થો ખાઈ ખાઈને આપણે આપણી પાચનશક્તિ બગાડી નાખી છે.
તમે ખાવાનું કેટલી મિનિટમાં ખાવ છો? પાંચ-દસ મિનિટમાં નહિ! તમે એક કોળિયાને કેટલી વખત ચાવો છો? પાંચ-દસ વખત નહિ! પણ અહીં આપણે ચેતવાની જરૂર છે. જો તમારે આ ભાગદોડની જિંદગીમાં સ્વસ્થ રહેવું હશે તો ખાવા અને ચાવવા માટે સમય આપવો જ પડશે. આયુર્વેદ કહે છે. અનેક ગ્રંથો, ડાક્ટરો, ઋષિમુનિઓ કહે છે, આરામથી ખાવ અને જ્યાં સુધી તમારા મોંમાંનો કોળિયો પ્રવાહીરૂપ ન બની જાય ત્યાં સુધી ચાવ્યે રાખો. અને પછી જ તે ખોરાકને ગળામાંથી નીચે ઉતારો. આરોગ્યની એક ચાવી કહે છે કે, ઉશિક્ષસ વિંય રજ્ઞજ્ઞમ ફક્ષમ યફિં વિંય ળશહસ. ભગવાને દાંત શેના માટે આપ્યા છે ? તેનો ઉપયોગ કરો. દાંતને દાંતનું કામ કરવા દો. આજે દાંતનું કામ આપણી હોજરી કરી રહી છે. પછી શું થાય, આખા આખા કોળિયા તમે પેટમાં ઉતારો એટલે તે પચે નહિ અને પછી ગસ, અસિડિટી જેવા રોગ થવાના જ, પણ પચેલો ખોરાક ધીમા ઝેર રૂપે શરીરમાં એકઠો થાય છે તે પછી તે ઝેર શરદી, તાવ, ડાયાબિટીસ, કેન્સર, અસિડિટી વગેરે રૂપે બહાર આવે છે.
તમને ખબર છે આપણું શરીર સૌથી વધુ એનર્જી શેમાં વાપરે છે? આપણે ખાધેલા ખોરાકને પચાવવામાં વ્યાયામ કરતાં વધારે એનર્જી ખોરાક પચાવવામાં વપરાય છે.
આહાર માટે ઇન્ટર હાર્ટ સંસ્થાએ પ્રુડન્ટ ડાયેટની ફોર્મ્યુલા આપી છે. તેના મુજબ ડહાપણ ભરેલો ખોરાક એ જ છે જેમાં લીલાં, બાફેલાં અને તેલ વગરનાં શાકભાજી હોય, પાંદડાવાળી ભાજી હોય, કાચાં કચુંબર હોય તેમજ ફળો હોય અને રોટલી કે રોટલાનું પ્રમાણ આહારમાં માત્ર 20 ટકા જ હોય.
ટૂંકમાં આહાર વખતે એટલું જ ધ્યાનમાં રાખો કે ખૂબ ચાવો, ભૂખ કરતાં થોડું ઓછું ખાવો, હેલ્થી ખોરાક ખાઓ, રોટલી, શાક, કચુંબર ખાઓ. ભોજન વખતે પાણી ન પીઓ અને પશ્ર્ચિમની પ્રજાની માફક જમતી વખતે કોકા-પેપ્પસીની બોટલ ન પીઓ. આહારમાં આટલું ધ્યાન રાખશો તો તમારો ખોરાક આરામથી પચી જશે અને તમને ખાધા પછી આળસ, કંટાળો નહિ આવે અને જીવનભરની તંદુરસ્તી ગિફ્ટમાં મળશે.
કસરત માત્ર 30 મિનિટ
શું તમે દરરોજ માત્ર 30 મિનિટ તમારા આજીવન શારીરિક જીવન માટે ન કાઢી શકો. માત્ર 30 મિનિટની સરળ કસરત  તંદુરસ્તી આપી શકે છે. તમે સૂર્યનમસ્કાર, રનીંગ, વાકિંગ, સાદી કસરત કરી શકો. ટૂંકમાં સખત પરિશ્રમવાળી કોઈપણ કસરત કરી શકો. આજે આપણે માત્ર એક્સરસાઇઝ નામના અંગ્રેજી શબ્દને જ જાણીએ છીએ. વજનિયાં ઊંચકીને ગોટલા બનાવવા એટલે એક્સરસાઇઝ. આ એક્સરસાઇઝમાં આપણું સંપૂર્ણ સ્વાસ્થ્ય છુપાએલું નથી. અમેરિકન લેખક ડા. ચાર્લ્સ કુઝેર કસરતનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે કસરત એટલે સખત પરિશ્રમવાળી કસરત થવી જોઈએ. થાક લાગે એટલો વ્યાયામ કરવો જોઈએ.’ જેમ જીવવા માટે આહારની જરૂર છે તેમ વ્યાયામની પણ એટલી જ જરૂર છે. તમે વ્યાયામ, કસરત કરો છો ત્યારે તમારા લોહીના પ્રવાહમાં પ્રાણવાયુનો સંચાર ધોધની માફક થાય છે. આ પ્રાણવાયુ તમારા શરીરમાંના લાખો કોષોને પુષ્ટિ આપે છે. વ્યાયામની ટેવ નાનપણથી જ હોવી જોઈએ. કસરત કરવાથી આપણી પિત્ત સ્વરૂપ્ની જે પીળી અસ્થિમજ્જા છે એ ઓછી થાય છે અને લાલચટક અસ્થિમજ્જા પેદા થાય છે જે આખરે લોહીને તંદુરસ્તી બનાવે છે. કસરત કરવાથી શરીરના મસલ્સને મસાજ મળે છે અને આપણાં આંતરિક અંગો જેવાં કે આંતરડાં, લિવર, કિડની વગેરેને તેમની કામગીરી કરવાની તાજગી પણ મળે છે. આથી આપણા જ્ઞાનતંતુઓ પણ મજબૂત થાય છે.
આજે આંખ, નાક, કાન, ગળું, મળદ્વાર, મૂત્રદ્વાર, ચામડીનાં છીદ્રો દ્વારા હવામાંના વાયરસ બેકટેરિયા જેવાં તત્ત્વો અને હવામાં રહેલા ઝેરી વાયુઓ તેમજ ખોરાક અને પ્રવાહી રૂપે લીધેલા અનેક પદાર્થો આપણા શરીરને ગમે ત્યારે રોગગ્રસ્ત બનાવી શકે છે. આવા સમયે જો આપણી રોગપ્રતિકારક શક્તિ બરાબર હશે તો આવા બેકટેરિયા, વાઇરસો, ઝેરી પદાર્થો આપણા શરીરનું કંઈ નહીં બગાડી શકે. હવે જો રોગપ્રતિકારક શક્તિ વધારવી હશે તો નિયમિત કસરત કરવી પડશે. નિયમિત કસરત કરવાથી તમારું જરૂર સુડોળ અને સુદ્ઢ બનશે જ. સાથે સાથે તમારી આત્મશક્તિમાં પણ વધારો થશે.
તમે અનેક ઘોંઘાટની વચ્ચે બેસીને પણ માત્ર તમારા જ કામ ઉપર ધ્યાન આપી શકો છો? નહિ ને! આજના દોડધામભર્યા જીવનમાં તમને ધ્યાનની ખૂબ જ જરૂર પડશે. પ્રાણાયામ, કપાલભાતી, યોગ દ્વારા તમે ‘ધ્યાન’ કરી શકો. ધ્યાનથી તમારી એકાગ્રતામાં વધારો થશે. મનની શાંતિ માટે પણ ધ્યાન ખૂબ જરૂરી છે. ધ્યાન એ ઉત્તમ દવા છે.
21મી સદીમાં આજે‘ફ્ટિનેસમેનિયા’  ઊપડ્યો છે. સૌ કોઈને મહેનત વગર ઝડપથી તંદુરસ્તી મેળવી લેવી છે. ફિટનેસ આપવાનો એક આવો ઉદ્યોગ જગતમાં વિકસી રહ્યો છે. આજે દુનિયાના તમામ અખબારો રોજરોજ આરોગ્યની કટારો છાપવા માંડ્યાં છે. લંડન ટાઇમ્સમાં દર શનિવારે આજે પણ 20 પાનાની આરોગ્યપૂર્તિ પ્રગટ થાય છે. ‘બિઝનેસ વીક’ જેવું વ્યાપારને લગતું સાપ્તાહિક પણ આરોગ્યના લેખો છાપતું થયું છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એ થયો કે આરોગ્ય મેળવવા આપણે જાગ્રત તો થયા છીએ પણ આરોગ્ય મેળવવા કશું કરતા નથી. આરોગ્ય કઈ રીતે મેળવાય તે ખબર છે પણ તે રસ્તા પર આપણે ચાલવું નથી, માથું દુખે કે ગસ થયો હોય આપણે મૂળમાં પહોંચ્યા વિના એલોપેથીની દવા ખાવા પહોંચી જઈએ છીએ. સવારે ઊઠતાવેંત આપણી સવાર દવાની ટીકડીથી શરૂ થાય છે. ડા. રોબર્ટ મેન્ડેલસોદન કહે છે કે એલોપથીની શોધ માનવજાતને રોગમાંથી ઉગારવા થઈ હતી પણ આજે એલોપથી દોસ્તને બદલે વિલન બની ગઈ છે.
ધ્યાન નિયમિત કરો
અહીં આજીવન તંદુરસ્તી મેળવવાની એક નાનકડી વાત મૂકી છે. બની શકે આજના ભાગદોડના જમાનામાં આમાંથી તમે ઘણું બધું ન પણ કરી શકો. પણ આમાંથી જેટલું પણ કરશો નક્કી તમારી તંદુરસ્તીમાં ફરક જરૂર પડશે. તંદુરસ્તીની સીધી-સાદી વ્યાખ્યા છે નિયમિત ઊંઘવું - ઊઠવું, આહાર, કસરત અને ધ્યાન આજે માનવ શરીર માટે ખૂબ જરૂરી છે. આજે આપણે ‘દવા’માંથી બહાર આવવાનું છે. કુદરતી ઉપચાર, નેચરક્યોર, નેચરલ હાઈજીન જેવા વિકલ્પોનો અભ્યાસ કરીને આપણે આપણું મેડિકલ બીલ ઝીરો કરી શકીએ છીએ. ટૂંકમાં 21મી સદીના નાગરિકે પોતે જ આરોગ્યનો અભ્યાસ કરવો પડશે અને આજીવન તંદુરસ્તી મેળવવી પડશે.
નિસર્ગોપચાર : સ્વાસ્થ્ય મેળવવાની કુદરતી પદ્ધતિ
નિસર્ગોપચાર... નેચરોપથી... 21મી સદીમાં આપણા સંપૂર્ણ સ્વાસ્થ્યની ગુરુ ચાવી અહીં નિસર્ગોપચાર પાસેથી મળી જશે. ઉપવાસ, રસાહાર, ફળાહાર, કુદરતી ઉપચાર એટલે નેચરોપથી. નેચરોપથીનો સિદ્ધાંત મુખ્યત્વે પ્રાકૃતિક ઘટનાઓ અને અલ્પ આક્રમક પદ્ધતિઓ પર આધારિત છે અને તેનો વિશ્ર્વાસ ‘કુદરતની સ્વસ્થ કરવાની ક્ષમતા’ પર છે. બનાવટી દવાઓ, કિરણોત્સર્ગ અને મોટી શસ્ત્રક્રિયા જેવી સારવાર ટાળવામાં આવે છે.
નેચરોપથીના સિદ્ધાંતો
1.    પહેલું, નુકસાન ન કરો; હંમેશા દર્દીઓને ઓછામાં ઓછા જોખમ સાથે ઉપલબ્ધ સૌથી વધુ અસરકારક સ્વાસ્થ્ય સેવા પૂરી પાડો.
2.    દરેક વ્યક્તિમાં તંદુરસ્તી જાળવવા અને સ્વાસ્થ્ય સંવર્ધન માટે ઉપલબ્ધ સ્વાભાવિક અને કુદરતી ઊર્જાને માન્યતા આપો, સન્માન કરો અને પ્રોત્સાહન આપો.
3.    રોગનાં લક્ષણો દબાવવા કે દૂર કરવાને બદલે તેનાં કારણોને ઓળખી દૂર કરો.
4.    સ્વાસ્થ્ય માટેની જાણકારી મેળવો, તાર્કિક આશાને પ્રેરણા આપો અને સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપો.
5.    દરેક વ્યક્તિનાં તમામ સ્વાસ્થ્ય પરિબળો અને અસરોને ધ્યાનમાં રાખીને સારવાર કરો.
6.    સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા આરોગ્ય જાળવવા ભાર મૂકો અને વ્યક્તિગત, દરેક સમૂહ અને આપણી દુનિયા માટે રોગોને અટકાવો.
રસાહાર દ્વારા રોગમુક્તિ
રોગોથી પીડાતા લોકોને સાજા કરવા માટે ઔષધો અને ઇન્જેક્શન જે કામ ન કરી શકે તે યોગ્ય આહાર અને શાકભાજી તથા ફળોના રસ કરી શકે છે.
શાકભાજી અને ફળોના રસો વડે અપાતી સારવાર નિર્દોષ, સલામત અને કોઈ પણ પ્રકારની આડ-અસરો વિનાની હોય છે. ક્યારેક રસોનું વધુ પ્રમાણે લેવાઈ જાય તો તેનાથી હાઇપર-વિટામિનોસીસ (વિટામિનોની અતિશયતાને લીધે થતી તકલીફ) પેદા થતી નથી. માટે માંદગીમાં અન્ય જોખમી ઉપાયો અજમાવતાં પહેલાં રસચિકિત્સાને તક આપવી એ તર્કસંગત છે.
શરીરમાં રહેલા અસંખ્ય કોષો અને લોહીમાં રહેલા લાખો રક્તકણો રોજ નાશ પામે છે. તેમની ક્ષતિપૂર્તિ કરવા માટે કાચા આહારની જરૂર છે. આ આહાર જો કાચો હોય અને ફળો તથા શાકભાજીના રસો સંયોજનયુક્ત હોય તો ક્ષતિપૂર્તિની પ્રક્રિયા ખૂબ ઝડપી બને છે. માંદગી અને ઘડપણની અવસ્થામાં તો આ ખાસ જરૂરી છે. રક્તકણો અને કોષોના સર્જન અને વિસર્જનની સમતુલા જાળવી રાખવા માટે કાચા આહાર અને શાકભાજી-ફળોના રસમાંથી મળતાં તત્ત્વો અતિશય આવશ્યક છે. તેમાં રહેલી શર્કરા અને અન્ય તત્ત્વો બહુ જ સુપાચ્ય સ્વરૂપ્નાં હોઈ, અતિ ઝડપથી લોહીમાં ભળીને નવસર્જન કરવા માંડે છે.
ફળો અને શાકભાજીનો આહાર લેવામાં પણ કેટલીક ઊણપો રહી જાય છે. તેમાં રહેલા રેસા, કૂચા વગેરે કાષ્ઠતત્ત્વો પાચનતંત્ર માટે બોજારૂપ બને છે. શરીર અને પાચનતંત્ર સ્વસ્થ હોય તો પણ ફળો અને શાકભાજીના કોષોમાંથી જરૂરી તત્ત્વો છૂટાં પાડીને તેમનું અભિશોષણ કરવાની તેમની ક્ષમતા માત્ર 35 ટકા જ હોય છે. માંદગીમાં તો આ શક્તિ ક્ષીણ થઈ જાય છે. આ કારણે આખાં ફળ અને શાકભાજી ખાવાથી જરૂરી તત્ત્વો પર્યાપ્ત માત્રમાં કદાચ મળે નહિ. આ કારણે તેમના રસો લેવાનો આગ્રહ રાખવામાં આવે છે. રસોમાંથી 95 ટકા તત્ત્વો શોષી લેવામાં શરીર સફળ નીવડે છે. તદુપરાંત સ્વસ્થ શરીર અને મજબૂત દાંત વડે પણ ફળો અને શાકભાજી ચાવીને ખાવામાં સમય પણ ઘણો જાય. શરીર માટે જરૂરી માત્રામાં અતિ આવશ્યક તત્ત્વો મેળવવા તેમનું પ્રમાણ પણ વિશેષ રાખવું પડે. પરિણામે શરીરને જરૂરી તત્ત્વો ઘણી ઓછી માત્રામાં મળે છે. આ બધાં જ કારણોના નિવારણ માટે ફળો તથા શાકભાજીના રસો પીવાની ભલામણ કરવામાં આવે છે.
શાકભાજી અને ફળોના રસો બંને એકસાથે ન લેવાં જોઈએ. બંને પ્રકારના રસો પીવા વચ્ચે ત્રણ-ચાર કલાકનું અંતર રાખવું જરૂરી છે. દિવસના પ્રથમ પહોરમાં ફળોનો રસ લેવો અને બીજા પહોરમાં (સાંજના પણ) શાકભાજીના રસો લઈ શકાય.

Mar 18, 2012

તીર્થસ્નાન


મહાભારતનું યુદ્ધ પૂરું થયું
યુદ્ધમાં થયેલ નરસંહારનાં પાપ ધોવા પાંડવોએ તીર્થસ્નાન કરવા જવા નક્કી કર્યું.
તેમણે શ્રીકૃષ્ણને પણ સાથે આવવા આગ્રહ કર્યો. શ્રીકૃષ્ણે આવવાની અશક્તિ દર્શાવી અને પોતાની પાસેની તુંબડી આપતાં કહ્યું, ‘તમારી સાથે આ તુંબડીને પણ સ્નાન કરાવજો.’
પાંડવો તો ઊપડ્યા. તીર્થસ્નાન કરે અને દર્શન-પૂજન કરે. શ્રીકૃષ્ણની તુંબડીને પણ સ્નાન કરાવે.
તીર્થયાત્રા પૂરી થઈ. પાંડવો પાછા ફર્યા. શ્રીકૃષ્ણની તુંબડી તેમને પાછી સોંપતાં કહ્યું, ‘અમે આ તુંબડીને પણ અમારી સાથે તીર્થસ્નાન કરાવ્યું છે.’
ભગવાન શ્રીકૃષ્ણ ખુશ થયા અને એક સેવકને તુંબડીને ભાંગીને વસ્ત્રગાળ ભૂકો કરવા કહ્યું.
આ ભૂકો દરેક સભાજનને પ્રસાદીરૂપે આપ્યો. દરેકનું મોં કડવું કડવું થઈ ગયું.
શ્રીકૃષ્ણે કહ્યું, ‘તુંબડીને સ્નાન કરાવ્યા છતાં તેની કડવાશ કેમ દૂર ન થઈ?’
‘બાહ્ય સ્નાનથી આંતરિક કડવાશ કેમ કરીને દૂર થાય?’
‘બાહ્ય સ્નાનથી અંદરનાં પાપો ન ધોવાય તો બાહ્ય ઉપચારથી અંતરની મલિનતા કેમ દૂર થાય?
‘આંતરદ્ષ્ટિ કેળવીને અંદરનાં પાપ ધોતાં શીખો.’
પાંડવોને તીર્થસ્નાનનો મર્મ સમજાઈ ગયો.

Mar 10, 2012

દુ:ખની દવા



લક્ષ્મીની  છોળોમાં આળોટતા  પ્રિયકાન્ત  માથે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો. એ ખૂબ બેચેન બની ગયો.
એક મિત્રે આબુ જઈ મહાત્માનું શરણું શોધી માર્ગદર્શન લેવા કહ્યું.
મિત્રની સલાહ માની પ્રિયકાન્ત આબુ પહોંચ્યો. મિત્રે આપેલ સરનામે જઈને મહાત્માને પાયલાગણ કર્યા. અને પોતાના દુ:ખની વાત કરી.
વાત  સાંભળીને મહાત્માએ પાસે જ ઉકળી રહેલા દૂધમાંથી એક પ્યાલો ભર્યો તેમાં સળગતા છાણાની ચપટી રાખ લઈ દૂધમાં નાખી. થોડીવારમાં રાખ ઓગળી ગઈ.
મહાત્માએ પ્રિયકાન્તને દૂધ પી જવા કહ્યું.
પ્રિયકાન્ત દૂધ પી ગયો.
મહાત્માએ કહ્યું, ‘ભાઈ, હમણાં જ તું હસતાં હસતાં ચપટી રાખવાળું દૂધ પી ગયો. એ જ રીતે તારી સુખી જિંદગીમાં આવી પડેલ ચપટી દુ:ખને સહી લઈશ તો એ દુ:ખમાં પણ તને સુખની ઝાંખી થયા વિના નહિં રહે.’