Jul 20, 2012

ભાગ્ય પુરુષાર્થીને જ ફળે

એક ખેડૂતના બે દીકરા. ખેડૂત ઘરડો થયો એટલે બંનેને એક એક ખેતર આપીને ખેડવા કહ્યું. એક ભાઈ ભાગ્યવાદી હતો. બીજો પુરુષાર્થમાં માને.


હળોતરાનો સમય થયો. એક ભાઈએ હળ જોડ્યું, જમીન ખેડી, દાણા નાખ્યા. બીજાએ ખેતરમાં જઈને માત્ર પ્રાર્થના કરી, ભાગ્યની દેવી વિધાતાને વિનંતીઓ કરતો રહ્યો.


બન્યું એવું કે બંનેના ખેતરમાં કંઈ ન પાક્યું. ખેડ કરનારે એક વડીલને કારણ પૂછ્યું. એમણે સામે પૂછ્યું કે ખેડ કરી, દાણા નાખ્યા પણ ખાતર-પાણી આપ્યું હતું? એને ભૂલ સમજાઈ. બીજી વખત સુધારી લીધી. ખૂબ પાક થયો. પણ બીજા ભાગ્યાધીન ભાઈની સ્થિતિ એવી જ રહી.


પુરુષાર્થ અને પરિશ્રમનું મહત્ત્વ સમજાવતું એક સુભાષિત પંચતંત્રમાં છે :


उद्योगिनं पुरुषसिंहम् उपैति लक्ष्मीः।


देवेन देयमिति कापुरुषा वदन्ति॥


दैवं निहत्य कुरु पौरुषमात्मशक्त्या ।


यत्ने कृते यदि न सिद्धयति कोऽत्र दोषः॥


પ્રયત્ન કરનારને જ લક્ષ્મી મળે, ભાગ્યમાં હશે તો મળશે એવું કહેનાર તો કાયર છે. નસીબને છોડીને જાતે પુરુષાર્થ કરો, અને તેમ છતાં ફળ ન મળે તો વિચારો કે ક્યાં ભૂલ થઈ છે.


નિષ્ફળતાનું કારણ જાણીને ફરી પુરુષાર્થ કરનાર જીતે જ છે.