Aug 28, 2012

માતૃભૂમિ પ્રત્યેનો અનન્ય પ્રેમ

એક રાજાને બે રાણી. એક માનીતી, બીજી અણમાનીતી. અણમાનીતી રાણીનો પુત્ર તેજસ્વી. શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં પાવરધો. બીજી રાણીનો પુત્ર આળસુ, લાડપ્યારથી બગડેલો. પણ રાજાએ તેને જ યુવરાજ જાહેર કર્યો. બીજા પુત્રને અન્યાય થયો. એ રાજ્ય છોડીને જતો રહ્યો. સ્વ-પરાક્રમે રાજ્ય ખડું કર્યું.


એકવાર શત્રુ રાજાએ તેના પિતાના રાજ્ય પર હુમલો કર્યો. માનીતીનો રાજકુમાર સત્તા સંભાળતો હતો, પણ આવડત શૂન્ય. પ્રજા પણ નારાજ. એ શત્રુના આક્રમણને ખાળી શકતો નહોતો. પણ અચાનક શત્રુસૈન્યમાં ભંગાણ પડ્યું. પછી, ખબર પડી કે બીજો રાજકુમાર વહારે આવ્યો હતો. શત્રુ રાજા પરાસ્ત થયો. એટલે તે પાછો ફર્યો. પણ રાજાએ તેને રોકીને પૂછ્યું કે જતા જ રહેવું હતું તો મદદે કેમ આવ્યો?


તેનો જવાબ હતો : માતૃભૂમિનું ઋણ ચૂકવવા. આ ભૂમિ મારી માતા છે. એની સામે કોઈ નજર નાખે તે કેમ સહન થાય?


શ્રીરામે આ જ વાત સમજાવી છે. લંકાવિજય પછી ત્યાંનું રાજ્ય સંભાળવાનો ઇન્કાર કરતાં તેમણે કહ્યું :


अपि स्वर्णमयी लंका
न मे लक्ष्मण रोचते।
जननी जन्मभूमिश्च
स्वर्गादपि गरियसी॥


હે લક્ષ્મણ, લંકા ભલે સોનાની હોય પણ મને અહીં ગોઠતું નથી. જનની - જન્મદાત્રી માતા અને જન્મભૂમિ તો સ્વર્ગથી પણ મહાન છે.


જે ભૂમિ પર જન્મ્યા તેને માતૃવત્ પ્રેમ કરનાર ક્યારેય પરકીયોનું, સીધું કે આડકતરું આક્રમણ સહન ન કરી શકે. જરૂર છે માતૃભૂમિની માટી માટેનો અનન્ય પ્રેમ.