Dec 29, 2011

હૃદય અને જીભ પર નિયંત્રણ જરૂરી

એક આશ્રમ, વૃદ્ધ પણ અનુભવી ગુરુ. એકવાર શિષ્યોની પરીક્ષા કરવા પ્રશ્ર્ન કર્યો : ‘શરીરનું કયું અંગ શ્રેષ્ઠ?’ એક ચબરાક શિષ્યે જવાબ આપ્યો : ‘હાથ, પગ, આંખ, કાન, નાક, હૃદય, મસ્તિષ્ક વગેરે બધાં જ અંગ મહત્ત્વનાં છે. એમની સંવાદિતા ખતમ થાય તો ભારે હાનિ થાય. તેમ છતાં હૃદય અને જીભ શ્રેષ્ઠ છે.’


કઈ રીતે?


શિષ્યનો જવાબ હતો કે સ્નેહ, સદાચાર, વાત્સલ્ય, ભાતૃભાવ વગેરેનું ઉદ્ગમસ્થાન હૃદય છે, અને જીભ મધ જેવી મીઠાશથી સ્નેહ અને આદર અપાવી શકે. ગુરુ પ્રસન્ન થયા.


બીજા દિવસે ફરી પ્રશ્ર્ન કર્યો : શરીરનું સૌથી ખરાબ અથવા કનિષ્ઠ અંગ કયું? શિષ્યે ફરી જવાબ આપ્યો : હૃદય અને જીભ. એ કઈ રીતે? તો જવાબ હતો કે હૃદય વેરઝેર, વૈમનસ્ય વગેરેનું ઉદ્ગમસ્થળ પણ છે. જીભ પણ પ્રેમાળ વાણીથી જીવનને નંદનવન બનાવી શકે તેમ જીવનમાં ઝેર પણ ઘોળી શકે.


સાર એ કે હૃદય અને જીભ બંને કાબૂમાં રહેવાં જોઈએ. એમનો યોગ્ય ઉપયોગ સંસારને નંદનવન બનાવે, ખોટો પ્રયોગ સંસારને અસાર બનાવે.