Oct 10, 2013

માણસ સમત્વ ખૂવે છે ત્યારે...

મહાભારતનો આ પ્રસંગ છે.

ગુરુ દ્રોણાચાર્યના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે. તેઓ સ્વભાવે બ્રાણ હતા.

એક દિવસ તેમના દિલમાં ગાય મેળવવાની ઇચ્છા જન્મી. તેમના દિલમાં થયું કે રાજા પાસે જઈને માગી લાવું.

તેઓ રાજા પાસે પહોંચ્યા. તેમનો સ્વભાવ ચૂક્યા; કારણ કે, બ્રાણે તો જે કંઈ સહજ રીતે આવી મળે તે વડે જ જીવન ગુજારવું જોઈએ.

રાજા દ્રુપદ વિચારક હતા. તેમને થયું : બ્રાણ થઈને આચાર્ય દ્રોણ માગવા કેમ આવ્યા ? તેમને લાગ્યું કે તે ધર્મ ચૂકે છે એથી તેમનું તેજ ઘટશે, અને એનું નિમિત્ત હું બનીશ; એટલે તેમણે દ્રોણાચાર્યને ગાય ન આપી.

દ્રોણને આથી ખૂબ રીસ ચડી. ઘેર આવ્યા પછી સંકલ્પ કર્યો કે આનું વેર લઉં ત્યારે જ બ્રાણ સાચો !

દિવસો જવા લાગ્યા. તેમણે પાંડવોને વિદ્યા આપવા માંડી. પણ એની પાછળ પણ પેલો ક્રોધ જ પડેલો હતો, એટલે પાંડવો જ્યારે ભણીગણીને પારંગત થયા ત્યારે દક્ષિણામાં પણ દ્રુપદને પકડી લાવવાની માંગણી કરી.

વેર આટલાથી પણ ન અટક્યું.

કુરુક્ષેત્રમાં પોતાનો પુત્ર હણાયો ત્યારે નિરાશ બની તેમણે હથિયાર હેઠાં મૂકી દીધાં, અને અર્જુનનો પુત્ર અભિમન્યુ જ્યારે હણાયો ત્યારે બમણા જોરથી લડ્યા. મતલબ કે સમત્વ ગુમાવી દીધું. એટલું જ નહિ, ‘અર્થસ્ય દાસ:’ બનીને અન્યાયના પક્ષમાં રહીને ન્યાયની સામે લડ્યા. માણસ સ્વભાવથી સહેજ વેગળો જાય છે અને સમત્વ ખૂવે છે ત્યારે કેટલું ભયંકર પરિણામ આવે છે તેનો આ તાદ્શ નમૂનો છે.

ભગતસિંહની અનોખી આખરી ઇચ્છા !

28 સપ્ટેમ્બર, ભગતસિંહની 106મી જન્મ-જયંતી. આ મહાન શહીદે ફાંસીના ફંદાને ચુમતા પહેલાં એક અનોખી ઇચ્છા વ્યક્ત કરી હતી એ વાત અહીં રજૂ કરીએ છીએ.

જેલ પ્રણાલિ મુજબ જેલરે ભગતસિંહને પૂછ્યું હતુ કે, ‘તમારી અંતિમ ઇચ્છા શું છે ?’ ત્યારે ભગતસિંહે કહેલું, ‘મારે બેબેના હાથનું ભોજન લેવું છે !’ ભગતસિંહ પોતાની માને બેબે કહેતા હતા. જેલરે કહ્યું, ‘હું તમારા ઘરે કોઈને મોકલી સંદેશો પાઠવી દઉં છું.’ ભગતસિંહે કહ્યું, ‘મારી બેબે તો અહીં જેલમાં જ છે.’ જેલરને કંઈ સમજાયું નહીં. તેણે આશ્ર્ચર્યથી પૂછ્યું, ‘ક્યાં છે ? કોની વાત કરો છો તમે ?’ ભગતસિંહે ફોડ પાડતાં કહ્યું, ‘બોઘા એ મારી બેબે છે, મારી મા છે.’ બોઘા એ વ્યક્તિ હતો જે ભગતસિંહની જેલ-કોટડીનું ટોઈલેટ સાફ કરતો હતો અને ભગતસિંહે પોતાનું આખરી ભોજન પોતાનું ટોઈલેટ સાફ કરનારા સફાઈ કામદારના હાથે લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પણ બોઘા સાંજનું વાળુ લઈને જાય એ પહેલાં તો ભગતસિંહ, સુખદેવ, રાજગુરુને ફાંસીના માંચડે લટકાવી, એમની લાશોના ટુકડા કરી સતલજ નદીમાં ફેંકી દીધેલા.

આ મહાન શહીદની આ અનોખી આખરી ઇચ્છા પણ અધૂરી રહી ગઈ હતી.