Feb 20, 2015

વાણી હંમેશાં સમજી - વિચારી કુનેહથી વાપરવી.

બારડોલી સત્યાગ્રહ પ્રસંગે સુરત સ્ટેશન પર સલૂનમાં ગવર્નર સાથે સુલેહ કરી પછી સરદાર પટેલ સહીઓ કરવાની વિધિ પૂરી થાય તેની રાહ જોતાં પ્લેટફોર્મ પર આંટા મારતા ફરતા હતા.

બીજી તરફ એક સ્થાને જમીનદાર ખેડૂતો પાસે સહી કરાવી રહ્યાં હતા. આવામાં ખેડૂતોની જમીન પાણીના મૂલે વેચાતી રાખનાર એક અક્કડ માણસે આવીને કહ્યું કે, ‘‘વલ્લભભાઈ પટેલે મને બહુ ગાળો આપી છે, તે મારી માફી માગે તો જ હું જમીન પાછી આપવાના પત્ર પર સહી કરીશ.’’

હવે સરદારને માફી માગવાનું કોણ કહી શકે ? હવે આ અક્કડ માણસને કોણ સમજાવે ? કોઈને કંઈ સૂજતું ન હતું. સરદાર રાહ જોઈ રહ્યાં હતા. આખરે ઘણી વાર થતાં સરદારે જ પૂછ્યું. ઘણીવાર થઈ.... ‘‘ગાડું ક્યાં ખોટકાયું છે ?’’

ત્યારે કોઈએ હિંમત રાખી સરદારને પેલા અક્કડ જમીનદારની શરત કહી.

ત્યારે સરદારે કહ્યું, ‘‘તો તમે ક્યારના કહેતા કેમ નથી ?’’

જમીનદાર બેઠેલા હતાં ત્યાં જઈને સરદારે તેને કહ્યું, ‘કેમ ? મેં તમને બહુ ગાળો દીધી છે ?’

પેલાએ કહ્યું, ‘‘હા’’.

સરદારે કહ્યું, ‘‘ચાલો સહી કરી દો. કાલથી હું તમારા વખાણ કરીશ.’’ પેલા અક્કડ જમીનદારે તરત જ કાગળ પર સહી કરી દીધી. માફીની વાત ત્યાં જ રહી. ‘માફી’ના બદલે ‘વખાણ’ શબ્દ વાપરી સરદારે કુનેહથી કામ કઢાવી લીધું.

બોધ એ છે કે ઘણીવાર માણસની વાણી પણ કઠીનમાં કઠીન કાર્ય પાર પાડી દે છે. માટે વાણી હંમેશાં સમજી - વિચારી કુનેહથી વાપરવી.

No comments:

Post a Comment