Feb 10, 2015

પાંજરામાં શેં પુરાય?

કાકાસાહેબ કાલેલકરનું નામ છે, દત્તાત્રય. ઘરમાં એમને દત્તુ કહીને બોલાવતા. નાનપણના એમના કેટલાક પ્રેરણા આપે એવા પ્રસંગ છે. એક પ્રસંગ તેઓ પોતાની મોટી બહેનનો યાદ કરે છે. મહારાષ્ટ્રમાં મોટી બહેનને આક્કા કહે. એક વાર એ સાસરેથી પિયર આવેલી. દત્તાના ઘરમાં તે વખતે એક પોપટ હતો. પાંજરામાં તેને રાખેલો. પણ આક્કા કહે કે, ‘આ પોપટને આપણે ઉડાડી દઈએ.’

દત્તુએ પૂછ્યું કે : ‘કેમ? એ તો બધાનો માનીતો છે.’

ત્યારે આક્કાએ નળ-દમયંતીનું આખ્યાન સંભળાવ્યું. તેમાં રાજાના હાથમાં સપડાયેલો હંસ છૂટી જવા માટે તરફડિયાં મારે છે, પોતાને છોડી દેવા રાજાને અનેક રીતે કરગરીને વીનવે છે, પણ રાજા તેને છોડતા નથી. તેથી નિરાશ થઈને વિલાપ કરે છે. એ પ્રસંગ આવ્યો ત્યારે આક્કા રડી પડી! પછી દરેક કડીનો એણે અર્થ કરી બતાવ્યો. આથી સહુનાં હૈયાં પીગળી ગયાં અને નક્કી થયું કે પોપટને છોડી દઈએ.

એટલે એક ઝાડ પર પાંજરું ટીંગાડ્યું અને ધીમે રહીને તેનું બારણું ખોલ્યું. એક ક્ષણ સુધી તો બહાર ઊડી જવાનું પોપટને સૂઝ્યું પણ નહીં. એ તો હેબતાઈ જ ગયો હશે. બીજી ક્ષણે ફરરર... આકાશમાં ઊડી ગયો. આક્કાની આંખમાં આનંદનાં ઝળઝળિયાં આવ્યાં. આ પ્રસંગ દત્તુના ચિત્ત પર અમીટ છાપ મૂકતો ગયો.

No comments:

Post a Comment